એસએસસી પેપર લીક થવાને લઇને વિવાદ વધુ ગંભીર બની રહ્યો છે. આના આંદોલનની ગૂંજ હવે સરકાર સુધી પહોંચી ગઈ છે. એકબાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પેપર લીકના મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી છે ત્યારે બીજી બાજુ ભાજપ પણ આ મામલાની નોંધ લઇને તપાસની ખાતરી આપી છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી ગૃહમંત્રી રાજનાથસિંહને મળ્યા હતા. તેમની સાથે દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ હતા. આ બેઠક ખુબ જ રચનાત્મક રહી હતી. રાજનાથસિંહે તમામ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી. સાથે સાથે નક્કર પગલા લેવા વિદ્યાર્થીઓને ખાતરી પણ આપી હતી. મનોજ તિવારીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ગૃહમંત્રીએ ફરિયાદ સાંભળીને તરત કાર્યવાહી કરવાની વાત કરી છે. શનિવારના દિવસે મનોજ તિવારીએ ધરણા સ્થળે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. મનોજ તિવારીએ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. આજે રવિવારના દિવસે સામાજિક કાર્યકર અણ્ણા હજારે પણ જોડાયા હતા. અણ્ણા હજારેએ તમામ પગલા લેવાની અને રજૂઆત કરવાની ખાતરી આપી હતી. કેજરીવાલે પણ એસએસસી દ્વારા આયોજિત પરીક્ષામાં ગેરરીતિને લઇને રજૂઆત કરી છે.
પાછલી પોસ્ટ