જમ્મુકાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનને હવે સર્જિકલ સ્ટ્રાઇકનો ભય સતાવી રહ્યો છે. ભારતે આર્મી કેમ્પ ઉપર કરવામાં આવેલા હુમલા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદને દોષિત ઠેરવીને તેની સામે વધુ કઠોર કાર્યવાહી કરવા માટેની ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને એવી દહેશત છે કે, ઉરી હુમલા બાદ જે રીતે ભારતીય સેનાએ એલઓસી પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપી હતી તેવી જ રીતે ભારત ફરી કાર્યવાહી કરી શકે છે. જેથી પાકિસ્તાને પહેલાથી જ આને લઇને ચેતવણી આપી છે. ભારતના આક્ષેપોને ફગાવી દેતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત સરકાર હંમેશા કોઇપણ યોગ્ય તપાસ વગર બિનજવાબદારીપૂર્વકના નિવેદન આપીને આક્ષેપો કરે છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પો ઉપર સતત હુમલાની ચિંતા પાકિસ્તાનને હવે સતાવી રહી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, કાશ્મીરમાં માનવ અધિકારના ભંગને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય ભારત ઉપર દબાણ લાવશે. ભારતની જેમ જ હંમેશા પાકિસ્તાનમાં આતંકવાદીઓની ટ્રેનિંગની ગતિવિધિ ચાલતી રહે છે. એલઓસીના રસ્તે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ ઘુસણખોરી કરતા રહે છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યના કહેવા મુજબ સુરક્ષા સંસ્થાઓને આતંકવાદીઓની વાતચીત રેકોર્ડ કરવામાં સફળતા મળી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે, જૈશના ઇશારે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ઠાર મરાયેલા ત્રાસવાદી પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને આશ્રય આપવાની બાબતને હંમેશા ફગાવી દે છે. ૨૦૧૬માં ઉરીમાં ત્રાસવાદી હુમલો કરાયો ત્યારે ૧૮ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે મોટા સર્જિકલ હુમલા પોકમાં કર્યા હતા અને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.