ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવેલા પવિત્ર રેવાતટવાસી કુબેર ભંડારી દાદાના શિવાલયે મહાશિવરાત્રીના પવિત્ર પર્વને અનુલક્ષીને રોશનીના શણગાર સજયા છે જેથી દીપાવલી જેવું દ્રશ્ય સર્જાયુ છે. કુબેર ભંડારી ટ્રસ્ટ ધ્વારા મહાશિવરાત્રી તેમજ અમાસને અનુલક્ષીને ભક્તિભાવસભર વિવિધ કાર્યક્રમોનું આગામી ત્રણ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યુ છે અને યાત્રાળુઓની સુખસુવિધાના વિવિધ પ્રબંધો કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહા શિવરાત્રીના પવિત્ર પર્વે આવતીકાલ તા.૧૩/૦૨ના રોજમળસ્કે ૦૨:૩૦ કલાકથી (૧૨/૦૨ની રાત્રી) મંદિરના કપાટ ખુલી જશે અને સાંજના ૦૫:૦૦ કલાક સુધી ભાવિકો દર્શન, પૂજા, અભિષેકનો લાભ લઇ શકશે.
સાંજના ૦૫:૦૦ કલાકે કુબેર દાદા આન, બાન, શાનથી નગર યાત્રાએ નીકળશે અને તેમની સવારી સાંજના ૦૭:૩૦ કલાકે મંદિરે પરત ફરશે, તે પછી ૧૩/૦૨ની રાત્રીના ૦૮:૦૦ વાગ્યાથી ૧૪/૦૨ની સવારના ૦૫:૩૦ કલાક સુધી શિવરાત્રીની ચાર પ્રહરની મહાપૂજા ચાલશે. ઉલ્લેખનીય છે કે પ્રત્યેક પ્રહરની જુદા જુદી પૂજાએ તેની વિશેષતા છે. અને વર્ષમાં માત્ર એકવાર, મહાશિવરાત્રીના પર્વે જ ચાર પ્રહર પૂજા યોજાય છે. ભાવિકો ભક્તોએ સ્વેચ્છાએ, કોઇપણ આગોતરી નામનોંધણી વગરના પૂજામાં બેસી શકશે અને ટ્રસ્ટ ધ્વારા પૂજાપાની તૈયાર થાળી પૂરી પાડવામાં આવશે, તે પછી વેદોકત વિધિથી દૈનિક પરંપરા પ્રમાણે આરતી, દર્શન, પૂજા યોજાશે. જેનો લાભ બપોરના બે વાગ્યા સુધી લઇ શકશે. તે પછી કુબેર દાદાના શણગાર દર્શન રાત્રીના આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે.
અમાસના પર્વને અનુકક્ષીને તા.૧૪/૦૨ની મધ્યરાત્રીથી ૧૫/૦૨(અમાસ)ની મધ્ય રાત્રી સુધી સતત ૨૪ કલાક સળંગ દર્શન ચાલુ રાખવામાં આવશે.
ભક્તજનોની સુવિધા માટે વિનામૂલ્યે પાર્કિંગ, અમાસનો ભંડારો, તેમજ શિવરાત્રીના ઉપવાસીઓ માટે ફરાળ અને પારણાની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો સહુને લાભ લેવા ટ્રસ્ટ ધ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.