જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર સતત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર સરકારને આગાહ કરી છે કે લશ્કરે તૈયબાના આતંકવાદીઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. એક અંદાજ પ્રમાણે લશ્કરે તૈયબાના ૪૫ તાલીમબદ્ધ આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓની માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરની નંગી ટિકરી વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અન્ય ક્ષેત્રોની જેમ પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ગત સપ્તાહે જ જમ્મુ-કાશ્મીરના ગુપ્તચર એકમ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આઈઈડી વિરુદ્ધ સાવધાની દાખવવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ ભારતીય સુરક્ષા ચોકીઓ વિરુદ્ધ કરાય તેવી શક્યતા છે.