માલદીવમાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને સોમવારના દિવસે ૧૫ દિવસ માટે ઇમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાતની સાથે જ ચાલી રહેલા રાજકીય સંકટની સ્થિતિ વધુ ઘેરી બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજકીય કેદીઓને મુક્ત કરવા માટે આદેશ કર્યો હતો જેને સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યા બાદ સંકટની શરૂઆત થઇ હતી. સોમવારના દિવસે સુરક્ષા દળોએ સુપ્રીમ કોર્ટના પ્રવેશદ્વાર તોડવાની શરૂઆત કરી હતી. બીજી બાજુ ચિંતિત ભારતે પોતાના નાગરિકોને હાલ માલદીવની યાત્રાને ટાળવા માટે કહ્યું છે. બીજી બાજુ અમેરિકાએ કહ્યું છે કે, સરકારને કાયદાનું સમ્માન કરવું જોઇએ. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોમુન અબ્દુલ્લા સહિત અનેક લોકોને પકડી લેવામાં આવ્યા છે જેમાં સુપ્રીમ કોર્ટના જજ અલી હમીદનો સમાવેશ થાય છે. માલદીવમાં કટોકટી વધુ ઘેરી બની ગઈ છે.
રાષ્ટ્રપતિના નજીકના વ્યક્તિ અઝીમાએ સોમવારના દિવસે ટેલિવિઝન સંબોધનમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. માલદીવમાં રાષ્ટ્રપતિના ટિ્વટર હેન્ડલથી આની માહિતી આપવામાં આવી હતી. આની સાથે જ માલદીવના નાગરિકોના અધિકારો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે સુરક્ષા દળોને શંકાના આધાર પર કોઇની પણ ધરપકડ કરવા માટેના અધિકાર મળી ગયા છે. ભારતે આ રાજકીય સ્થિતિ વચ્ચે પોતાના નાગરિકોને માલદીવની યાત્રાને ટાળવા માટે કહ્યું છે. ૨૦૧૩થી યામીન માલદીવમાં સત્તા સંભાળી રહ્યા છે. તેમના ઉપર અમેરિકાની સાથે ભારત તરફથી સતત પૂર્વ પ્રમુખ મોહમ્મદ નાસીદને મુક્ત કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. ચાર લાખની વસ્તીવાળા માલદીવને પ્રવાસીઓ માટે સ્વર્ગ તરીકે ગણવામાં આવે છે.
આગળની પોસ્ટ