નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં જેટલીએ સાંસદો માટે મોટી જાહેરાત કરી હતી. જેટલીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, સાંસદોના પગારની સમીક્ષા માટે સરકાર નવો કાયદો લઇને આવશે. આ કાયદા હેઠળ પાંચ વર્ષમાં સાંસદોના પગારની સમીક્ષા કરવામાં આવશે. તેને જરૂર મુજબ વધારવામાં આવશે. જેટલીએ પોતાના બજેટના ભાષણમાં સાંસદોના વેતનની સમીક્ષા અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર પહેલાથી જ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોના પગારમાં વધારાને લઇને પ્રસ્તાવ લાવી ચુકી છે જેને ટૂંક સમયમાં જ મંજુરી મળી જશે. આ પ્રસ્તાવ હેઠળ રાષ્ટ્રપતિનો પગાર પાંચ લાખ, ઉપરાષ્ટ્રપતિનો પગાર ચાર લાખ, રાજ્યપાલને ત્રણ લાખ રૂપિયા મળશે. સાંસદોના વેતનની સમીક્ષાની નવી વ્યવસ્થા પહેલી એપ્રિલ ૨૦૧૮થી લાગૂ થશે. સાતમાં વેતન પંચની ભલામણ અમલી બન્યા બાદથી સાંસદો દ્વારા વેતનમાં વધારાની માંગ કરવામાં આવી રહી છે. સાંસદોનું કહેવું છે કે, મોંઘવારીમાં અનેકગણો વધારો થયો છે જેથી પગાર વધારો જરૂરી છે.
આગળની પોસ્ટ