સામાન્ય બજેટ આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે ત્યારે સંરક્ષણ ફાળવણીમાં નવ-દસ ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે. સંરક્ષણ બજેટને નવ-૧૦ ટકા વધારીને નવી ઉંચી સપાટી પર લઇ જવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ત્રાસવાદી હુમલા અને પડોશી દેશ પાકિસ્તાન અને ચીન દ્વારા હથિયારોમાં સતત ઉમેરો કરવામાં આવી રહ્યો છે જેથી ભારત પણ પોતાની સંરક્ષણ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કેટલાક પગલા જાહેર કરી શકે છે. વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં સંરક્ષણ ફાળવણીને વધારી દેવા માટે કેટલાક કારણો રહેલા છે. સંરક્ષણ મંત્રાલય અન્ય કેટલાક મહત્વના પગલાની માંગ કરી રહ્યુ છે. હાલના સમયમાં ચીન દ્વારા પણ ડોકલામ સહિત સરહદી પ્રશ્ને ભારત સામે પડકારની સ્થિતી સર્જી છે. સાથે સાથે પાકિસ્તાન સાથે સતત તંગદીલી પૂર્ણ સંબંધ રહ્યા છે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે સેનાના જવાનો પાસે પુરતા પ્રમાણમાં હથિયારો અને નવી ટેકનોલોજી રહે તે જરૂરી છે. આવી સ્થિતીમાં આ દિશામાં કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે.