બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બજેટમાં કયા પગલા લેવામાં આવશે તેને લઇને અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોમાં ચર્ચા છે ત્યારે હાલમાં જ કરવામાં આવેલા નવા પોલમાં જાણવા મળ્યું છે કે, ટેક્સ રાહતની રાહ જોઈ રહેલા લોકોને મોટાભાગે નિરાશા હાથ લાગી શકે છે. બજેટમાં મોટાપાયે ખર્ચની જોગવાઈ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ૨૪મી જાન્યુઆરીથી લઇને ૨૯મી જાન્યુઆરી વચ્ચે ૪૦ અર્થશાસ્ત્રીઓને લઇને કરવામાં આવેલા પોલમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપીના આંકડાની સરખામણીમાં સ્થિતિ વધારે સારી નથી તે જોતા સરકાર ટેક્સના મોરચે કોઇ વધારે રાહત આપશે નહીં. પોલમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી ચૂંટણી પહેલા મોદી સરકાર અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરી રહી હોવા છતાં સરકારી ખર્ચ નાણાંકીય ખાધને અંકુશ લેવામાં છેલ્લી ઘડીના અને લાંબાગાળાના પ્રયાસના ભાગરુપે સરકારી ખર્ચ મર્યાદિત રાખવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે નાણાંકીય ૨૦૧૪-૧૫માં તેના પ્રથમ બજેટમાં નાણાંકીય મજબૂૂતીની વાત કરી હતી. ધિરાણ લઇને ખર્ચ કરવાની લાંબી પરંપરાનો અંત લાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદના બજેટમાં નાણાંકીય ખાધને ત્રણ ટકા સુધી લાવવા માટેની સમય મર્યાદા પાછળ ધકેલી દેવામાં આવી છે. વધુ એક વર્ષ માટે ટાર્ગેટ સુધી પહોંચવા માટે સમય મર્યાદા લંબાવી દેવામાં આવે તેમ માનવામાં આવે છે. આર્થિક સ્થિતિ સારી નહીં હોવાના કારણે સતત ત્રીજા વર્ષે ટાર્ગેટને પહોંચી વળવામાં તકલીફ થઇ રહી છે. જાણકાર લોકો માની રહ્યા છે કે, ટેક્સના મોરચે વધારે રાહત મળવાની અપેક્ષા દેખાઈ રહી નથી. મધ્યમ કદની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ રેટમાં આંશિક ઘટાડો કરવામાં આવી શકે છે. સોમવારના દિવસે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને વધુ લંબાવવામાં આવશે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે ટાર્ગેટ ૩.૨ ટકા છે અને સરકાર આને પહોંચી વળવામાં સફળ થાય તેવી શક્યતા ઓછી છે. કારણ કે, જુદા પડકારો રહેલા છે. ભારત, સિંગાપોર અને યુરોપમાં સ્થિત ૪૦ અર્થશાસ્ત્રીઓ પૈકીના ત્રણ ચતુર્થાંશ અર્થશાસ્ત્રીઓએ એવો મત આપ્યો છે કે, જેટલીના બજેટમાં ફિસ્કલ કન્સોલીડેશન અથવા તો નાણાંકીય મજબૂતી ઉપર મુખ્ય ભાર રહેશે. સબસિડીને વધારવાની દિશામાં ધ્યાન રહેશે તેમ માનનાર ખુબ ઓછા છે. વધુ લોકપ્રિય બજેટની અપેક્ષા રાખી રહેલા અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, સરકાર નવી સબસિડી જાહેર કરી શકે છે જેમાં ખેડૂતો માટે લોન માફી, આરોગ્ય સંભાળ ખર્ચમાં વધારો, ફ્યુઅલ પર ટેક્સમાં ઘટાડો અને ગ્રામિણ હાઉસિંગ સ્કીમમાં વધારો કરવાના સંકેત દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે, બજેટમાં કૃષિ સેક્ટર ઉપર ખાસ ધ્યાન અપાશે. કારણ કે, આગામી ચૂંટણી નજીક આવી પહોંચી છે.
આગળની પોસ્ટ