રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવવાથી ખર્ચ અને વ્યવસ્થા સાથે જોડાયેલી મુશ્કેલીઓને ઓછી કરવામાં મદદ મળી શકે છે.
તેમણે ચૂંટણીપંચ સાથે આ મુદ્દે રાજનૈતિક દળોને એક મંચ પર લાવવા માટે પહેલ કરવા કહ્યું, પ્રણવ મુખરજીએ કહ્યું કે આ પહેલ ચૂંટણીપંચ તરફથી કરવી જોઈએ. કારણકે પંચે નિષ્પક્ષ વ્યહવારની છબિ પ્રાપ્ત કરી છે હું સમજું છું કે જો રાજનૈતિક દળ આ મુદ્દા પર ચૂંટણીપંચની મદદ સાથે ગંભીરતાપૂર્વક સહમત થાય તો આ સંભવ થાય.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કરેલા સંબોધનમાં આમ કહ્યું હતું. સને ૧૯૫૦માં ભારતીય ચૂંટણીપંચનું ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવાથી ખર્ચ અને વ્યવસ્થા સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા અંગેના વિચારનું સમર્થન કરી ચૂક્યા છે.
કાનૂન અંગે સંસદની સ્થાયી સમિતિએ ડિસેમ્બર ૨૦૧૫માં પોતાની રિપોર્ટમાં એક સાથે ચૂંટણી કરાવવા અંગે સમર્થન કર્યું હતું. સંસદીય સમિતિની રિપોર્ટ પછી સરકારે ચૂંટણીપંચ સાથે આ વિશે તેમનો અભિપ્રાય માગ્યો હતો. પંચે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે આ માટે તેને આશરે ૧૦ હજાર કરોડ વધુ ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનોની જરૂર પડશે. એ સિવાય મોટી સંખ્યામાં સુરક્ષા બળોના જવાનોની જરૂર પડશે. પંચે એવો પણ ઈશારો કર્યો હતો કે એનાથી બંધારણમાં સંશોધન કરવું પડશે.