ભારત આવેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂના પ્રવાસથી ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો ખુબ મજબૂત બન્યા છે. બંને દેશો વચ્ચે એક નવા યુગની શરૂઆત થઇ છે. હવે વડાપ્રધાન મોદી ૧૦મી ફેબ્રુઆરીએ પેલેસ્ટાઇન જશે. પેલેસ્ટાઇન જનાર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે. ભારત અને પેલેસ્ટાઈન આ પ્રવાસની ચર્ચા લાંબા સમયથી કરી રહ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન ભારતના પ્રવાસે છે ત્યારે આની જાહેરાત કરવામાં આવી છે. મોદીના આ પ્રવાસને ઐતિહાસિક ગણવામાં આવે છે. કારણ કે, આનાથી અનેક ગેરસમજો દૂર થશે. મોદી સત્તામાં આવ્યા બાદ ભારતે પેલેસ્ટાઈનને લઇને પોતાની પોલિસીમાં ફેરફાર કર્યા છે તેવી ગેરસમજને દૂર કરાશે. મોદી હેલિકોપ્ટર મારફતે પેલેસ્ટાઈનના રામલલ્લાહ જશે. જે રુટથી મોદી જ્યાં પહોંચશે તે યેરુશાલેમથી માત્ર ૮ કિલોમીટરના અંતરે સ્થિત છે. વર્ષ ૨૦૧૭માં જ્યારે મોદી ઇઝરાયેલ ગયા હતા ત્યારે પેલેસ્ટાઈન ગયા ન હતા જેના કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ નીતિ ભારત દ્વારા અપનાવવામાં આવેલી જુની નીતિથી બિલકુલ વિરુદ્ધમાં હતી.