બોલિવુડની બ્યુટીક્વીન તરીકે રહેલી એશ્વર્યા રાય બચ્ચને હાલમાં ફિલ્મ ફન્નેખાનના શુટિંગને પૂર્ણ કરી લીધુ છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધા બાદ તે કેટલીક અન્ય ફિલ્મની પટકથા વાંચી રહી છે. હાલમાં એવા હેવાલ આવ્યા હતા કે તે રાત ઔર દિનમાં પણ કામ કરી રહી છે. હવે નવા હેવાલ આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે સરોગસી પર આધારિત ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. સરોગસી પર આધારિત ફિલ્મ જેસ્મિનમાં તે કામ કરવા જઇ રહી છે. સુત્રોની વાત માનવામાં આવે તો એશ્વર્યાને કેટલાક ફિલ્મ નિર્માતા તરફથી ઓફર કરવામાં આવી છે. આ ફિલ્મનુ શુટિંગ ગુજરાત અને રાજસ્થાનમાં કરવામાં આવનાર છે. ફિલ્મને ટોયલેટ એક પ્રેમ કથાના નિર્દેશક શ્રીનારાયણસિંહ અને પ્રેરણા અરોડા મળીને પ્રોડ્યુસ કરનાર છે. આ ફિલ્મ મારફતે સિદ્ધાર્થ અને ગરીમા નિર્દેશનના ક્ષેત્રમાં એન્ટ્રી કરનાર છે. આ હેવાલને સમર્થન આપતા સહ નિર્માતા શ્રીનારાયણ સિંહે કહ્યુ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મને લઇને તૈયારી ચાલી રહી હતી. આ પટકથા ગુજરાતની એક મહિલાથી પ્રેરિત છે. જે બાળક ઇચ્છતી ન હતી પરંતુ કોઇ અન્ય માટે સરોગસી માતા બનવાનો નિર્ણય કરે છે. થોડાક સમય બાદ તેને પોતાના બાળકને લઇને પ્રેમ થઇ જાય છે. જેથી તે પોતાના બાળકની માંગ કરવા લાગી જાય છે. મોનસુન બાદ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવી શકે છે. લેખકોને હાલમાં પટકથામાં સુધારાની જરૂર દેખાઇ રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ