ગુજરાત ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને આજે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં સ્પષ્ટતા કરી હતી. જેટલીએ કહ્યું હતું કે , વડાપ્રધાને પોતાના ભાષણમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીની દેશ પ્રત્યે નિષ્ઠાને લઇને કોઇ પ્રશ્નો ઉઠાવ્યા ન હતા. તેમના કોઇ એવા ઇરાદા પણ ન હતા. આ પ્રકારની બાબત ખોટી છે. અમે આ નેતાઓની સાથે ભારત પ્રત્યે તેમની કટિબદ્ધતાનું સન્માન કરીએ છીએ. જેટલીના ખુલાસા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, જે વિવાદ હતો તેને લઇને સ્પષ્ટતા બાદ તેઓ નેતાનો આભાર માને છે. પોતાની પાર્ટી તરફથી તેઓ આભાર માને છે. અમે આ પ્રકારની ટિપ્પણીથી પોતાને અલગ કરીએ છીએ જેના લીધે વડાપ્રધાનના હોદ્દાને ઠેસ લાગી છે.