ત્રિપલ તલાક બિલ આવતીકાલે ગુરૂવારે લોકસભામાં રજૂ કરવામાં આવનાર છે. મુસ્લિમ સમુદાયના લોકોમાં ત્રિપલ તલાકની પ્રથાને ગુનેગારી તરીકે ગણાવવા સાથે સંબંધિત બિલ આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે. આ ઘટનાક્રમ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. નીચલા ગૃહની આવતીકાલની કાર્યવાહી મુજબ કેન્દ્રિય કાયદા પ્રધાન રવિ શંકર પ્રસાદ દ્વારા લોકસભામાં આવતીકાલે આ બિલ રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વમાં આંતરપ્રધાન ગ્રુપ દ્વારા આ બિલ તૈયાર કરવામાં આવ્યુ છે જેમાં કોઇ પણ સ્વરૂપમાં ત્રિપલ તલાકને ગેરકાયદે બનાવી દેવામાં આવ્યુ છે. લેખિતમાં, મૌખિકરીતે અથવા તો ઇલેક્ટ્રોનિકલીરીતે તલાક આપવાની પ્રથા પર બ્રેક મુકવામાં આવી છે. આમા પતિ માટે ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગયા સપ્તાહમાં આ બિલ રજૂ કરનાર હતું પરંતુ સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, મોડેથી આ બિલ રજૂ કરવામાં આવશે. બિલની જોગવાઈ મુજબ પતિને જંગી દંડની જોગવાઈ પણ છે. કેસમાં સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટ દ્વારા દંડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ત્રિપલ તલાકના મામલા હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બિલને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ૨૪મી ડિસેમ્બરના દિવસે તાકીદની બેઠક યોજી હતી. જેમાં ત્રિપલ તલાકના મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અભિપ્રાય આપતા કહ્યુ હતુ કે મહિલા સામે ત્રિપલ તલાક બિલ પરિવારને નષ્ટ કરી નાંખશે. બોર્ડે દલીલ કરતા કહ્યુ છે કે સુચિત ત્રિપલ તલાક બિલ જે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યુ છે તે મહિલાઓન વિરુદ્ધમાં છે. જો તેને અમલી કરવામાં આવશે તો અનેક પરિવાર બરબાદ થઇ જશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય સજ્જાદ નોમાનીએ કહ્યુ હતું કે આ બિલ માટે મુસદ્દો નક્કી કરતી વેળા કોઇ પ્રક્રિયા પાળવામાં આવી નથી. સાથે સાથે કોઇ સંબંધિતો સાથે વાતચીત પણ કરવામાં આવી નથી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ આ વલણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડશે. સુપ્રીમ કોર્ટે ખુબ જ સંવેદનશીલ અને જટિલ ત્રિપલ તલાકના મુદ્દા પર અગાઉ ૨૨મી ઓગસ્ટના દિવસે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ત્રિપલ તલાકને ગરબંધારણીય ઠેરવતા દેશમાં જુદા જુદા સમુદાયમાં આની ભારે ચર્ચા જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પીઠે ૩-૨ની બહુમતિ સાથે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રિપલ તલાક પર આગામી છ મહિના માટે સ્ટે મુકી દીધો હતો. સાથે સાથે કેન્દ્ર સરકારને ત્રિપલ તલાકના મુદ્દા ઉપર કાયદો બનાવવા માટે સૂચના આપી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજ પૈકી ત્રણ જજે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો જ્યારે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જેએસ ખેહર અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરે આ મામલામાં જુદો અભિપ્રાય આપ્યો હતો. જસ્ટિસ કુરિયન, જસ્ટિસ જોસેફ અને જસ્ટિસ નરીમને ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને આને સ્વૈચ્છિક તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. સાથે સાથે ત્રિપલ તલાકને ફગાવી દીધો હતો. ૩-૨ની બહુમતિથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ૩૦મી માર્ચ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું હતું કે, આની સાથે જોડાયેલી અરજી ઉપર પાંચ જજની બંધારણીય બેંચ સુનાવણી કરશે. તમામ પાસાઓ ઉપર વિચારણા કરશે.
કોર્ટે એ વખતે કહ્યું હતું કે, આ મામલો ખુબ જ ગંભીર છે અને આને ટાળી શકાય નહીં. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને લેખિતમાં પોતાની વાત એટર્ની જનરલ પાસે જમા કરવા કહ્યું હતું. ૧૧મી મે ૨૦૧૭ના દિવસે આ મામલામાં બંધારણીય બેંચમાં સુનાવણી શરૂ થઇ હતી. સુનાવણી સતત છ દિવસ સુધી ચાલી હતી. આ ગાળા દરમિયાન બંને પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટ તરફથી પણ ખુબ જ રોચક ટિપ્પણી કરવામાં આવી હતી.
આગળની પોસ્ટ