બોલિવુડમાં બ્યુટીક્વીન તરીકે જાણીતી રહેલી એશ્વર્યા રાય બચ્ચન હવે વધુ એક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ તે વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ રાત ઔર દિનથી પ્રેરિત થઇને બની રહેલી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અન્ય કલાકારો કોણ રહેશે તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી. ચર્ચા છે કે એશનો સંપર્ક કરવામાં આવ્યા બાદ એશે ફિલ્મમાં કામ કરવા માટે તૈયારી દર્શાવી છે. ડાર્ક થ્રીલર ફિલ્મ માટે એશનો સંપર્ક કરવામાં આવ્યા બાદ તે ખુશ છે. આ નવી ફિલ્મ વર્ષ ૧૯૬૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાત ઔર દિનની પટકથા જેવી રહેશે. સત્યેન બોસ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં પ્રદીપ કુમાર, નરગીસ અને ફિરોજખાને ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. રાત ઔર દિનને ભારતીય હિન્દી સિનેમાની કેટલીક શાનદાર ફિલ્મો પૈકી એક તરીકે ગણવામાં આવે છે. નર્ગીસને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો એવોર્ડ મળ્યો હતો. તે રાષ્ટ્રીય એવોર્ડ જીતી ગઇ હતી. એમ કહેવામાં આવે છે કે એશ્વર્યાને આ રોલ પ્રેરણા અરોડા અને અર્જુન એન કપુર પ્રોડક્શન તરફથી ઓફર કરવામાં આવ્યા બાદ ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. એશ દ્વારા વિધીવતરીતે ફિલ્મને સ્વીકારી લેવામાં આવ્યા બાદ અન્ય કલાકારો અંગે નામની જાહેરાત કરવામાં આવનાર છે. ફિલ્મ આગામી વર્ષે શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એશ હજુ પણ બોલિવુડમાં સૌથી ખુબસુરત દેખાય છે. તે યે દિલ હે મુશ્કેલમાં રણબીર સાથે નજરે પડી હતી. જે બેસ્ટ જોડી તરીકે હતી. તમામ ચાહકોને આ ફિલ્મ ગમી ગઇ હતી.
આગળની પોસ્ટ