ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાકિસ્તાનની દરમિયાનગીરીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપ બાદ રાજનીતિ ગરમ બની છે. પાકિસ્તાને સમગ્ર મામલામાં હાથ ઉંચા કરી લીધા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેઝલે ટિ્વટ કરીને કહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરમિયાનગીરી કરવાના આક્ષેપો બિલકુલ પાયાવગરના છે. પોતાની ચૂંટણી ચર્ચામાં ભારતે પાકિસ્તાનને વચ્ચે લાવવાની જરૂર નથી. કાવતરા ઘડવાના બદલે પોતાના દમ ઉપર ચૂંટણી જીતવાના પ્રયાસ કરવા જોઇએ. આવા આક્ષેપ આધારવગરના છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનની સાથે મળીને ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરના આવાસ પર પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને હાઈકમિશનર પહોંચ્યા હતા. જેમાં કલાકો સુધી ચર્ચા થઇ હતી. પહેલા કોંગ્રેસે મિટિંગ થઇ હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ સેનાના પૂર્વ વડા દિપક કપૂરે મિટિંગને લઇને સમર્થન કર્યા બાદ હવે કોંગ્રેસી નેતાઓએ પણ આ અહેવાલને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે હવે ગુલાંટ મારી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પહેલા ઇન્કાર કર્યા બાદ હવે મિટિંગની વાત કબૂલી લીધી છે. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી, પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહ, પૂર્વ સેના અધ્યક્ષ દિપક કપૂર, પૂર્વ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગળની પોસ્ટ