સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે આજે કોંગ્રેસના એવા આક્ષેપોને ફગાવી દીધા હતા કે, શિયાળુ સત્ર બોલાવવાને લઇને બિનજરૂરી વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ડિસેમ્બર મહિનામાં સંસદનું શિયાળુ સત્ર બોલાવશે અને આની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે. અનંતકુમારે કહ્યું હતું કે, વિરોધ પક્ષો દ્વેષભાવથી પીડિત છે. કોંગ્રેસના નેતૃત્વમાં અગાઉના શાસનકાળ દરમિયાન આ પ્રકારની સ્થિતિ હતી. ડિસેમ્બર ૨૦૦૮ અને ૨૦૧૩ દરમિયાન શિયાળુ સત્ર યોજવામાં આવ્યું હતું. સામાન્યરીતે વિધાનસભાની ચૂંટણીની સાથે શિયાળુ સત્રને લઇને ધ્યાન રાખવામાં આવે છે. ભૂતકાળમાં પણ આ બાબત જોવા મળી ચુકી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા હતાશાના કારણે આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નિશ્ચિત બની ચુકી છે. ગઇકાલે જ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, સરકાર સંસદના શિયાળુ સત્રને ખોરવી નાંખવા માટેના પ્રયાસ કરી રહી છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ કારોબારી સમિતિને સંબોધન કરતા કહ્યું હતું કે, મોદી સરકારના અહંકારના કારણે સંસદીય લોકશાહી વ્યવસ્થાને માઠી અસર થઇ છે. ભાજપ પર સંસદનો સામનો કરવાની હિંમત નથી તેવો આક્ષેપ કરતા સોનિયા ગાંધીએ કહ્યુું હતું કે, વડાપ્રધાન મોદીએ આશ્ચર્યજનક કારણો આપીને સંસદમાં શિયાળુ સત્રને ટાળી દેવાની વાત કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, જો કોઇ લોકશાહીના મંદિર ઉપર તાળા લગાવી દેવાનું કામ કરે છે તો આ ખોટી બાબત છે. ચૂંટણી પહેલા આ બંધારણીય જવાબદારીથી ભાગવા જેવું કામ છે. ચૂંટણી પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નોટબંધીને લઇને સરકાર પર પ્રહાર કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતુ ંકે, એક વર્ષનો ગાળો થઇ ગયો હોવા છતાં તેની અસર હજુ ખતમ થઇ નથી.