ગોરખપુરના બીઆરડી મેડિકલ કોલેજમાં માસૂમ બાળકોના મોતનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એકથી ચાર નવેમ્બર વચ્ચેના ગાળામાં હજુ સુધી ૫૮ બાળકોના મોત થઇ ચુક્યા છે. આમાથી મહિનાથી ઓછી વયના ૩૨ બાળકો અને એક મહિનાથીવધુ વયના ૨૬ બાળકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૪૮ કલાકની વાત કરવામાં આવે તો ૩૦ બાળકોના મોત થઇ ચુક્યા છે. બીજી અને ત્રીજી નવેમ્બરના દિવસે હોસ્પિટલમાં ૧૫ નવજાત શિશુને દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી સાતના મોત થઇ ચુક્યા છે. પહેલી નવેમ્બરના દિવસે એક મહિનાથી મોટી વયના ૩૬ બાળકોનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૦ બાળકોના મોત થઇ ચુક્યા છે. લોકોની સામે તેમના માસૂમ બાળકોના મોત થઇ રહ્યા છે. તબીબો, વહીવટીતંત્ર અને સરકારની તમામ વ્યવસ્થા લાગેલી હોવા છતાં બાળકોના મોત થઇ રહ્યા છે જે દર્શાવે છે કે, બીઆરડી મેડિકલ કોલેજમાં તમામ બાબતો અસરકારકરીતે આગળ વધી રહી નથી. મેડિકલ કોલેજ વહીવટીતંત્રની વાત કરવામાં આવે તો જાપાની તાવના પરિણામ સ્વરુપે મોતના આંકડામાં ઘટાડો થયો છે પરંતુ કોલેજમાં જવાબદાર અધિકારી વધારે બોલવાની સ્થિતિમાં નથી. આ મોતને લઇને રાજનીતિ પણ રમાઈ રહી છે. આંકડાની વાત કરવામાં આવે તો જાપાની તાવના કારણે સતત મોત થઇ રહ્યા છે. હજુ સુધી ૧૩૪૧ બાળકોના મોત થઇ ચુક્યા છે. હોસ્પિટલ વહીવટીતંત્રએ કહ્યું છે કે, મેડિકલ પાંચ કરોડથી વધુની વસ્તીની સેવા કરે છે. અહીં પૂર્વીય ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહાર, નેપાળ સુધીના દર્દીઓ આવે છે. ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજની હાલમાં ભારે ચર્ચા રહી હતી. કારણ કે, ૧૦ અને ૧૧મી ઓગસ્ટની રાત્રે ૩૬ બાળકોના મોત ઓક્સિજન ખોરવાઈ જવાના કારણે થયા હતા.