વિદેશી મૂડીરોકાણકારો દ્વારા આ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં ડેબ્ટ માર્કેટમાં ૧.૫ અબજ ડોલરની રકમ ઠાલવી દેવામાં આવી છે. જો કે, ઉંચા શેર મૂલ્યોના અનુસંધાનમાં વિદેશી મૂડીરોકાણકારોએ આ ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૭૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. એફપીઆઈએ ત્રીજી ઓક્ટોબરથી લઇને હજુ સુધીના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૧૦૩૦૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. છેલ્લા આઠ મહિનાના ગાળામાં ૧.૪ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૭ના ગાળામાં આ જંગી રોકાણ આવ્યું છે તે પહેલા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં ઇક્વિટીમાંથી ૧૨૭૭૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા ત્યારબાદ પણ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં આ વલણ જાળવી રાખ્યું હતુ. તે પહેલા એફપીઆઈ દ્વારા છેલ્લા છ મહિનામાં ૬૨૦૦૦ કરોડથી વધુ નાણા ઠાલવી દેવાયા હતા. અગાઉ હાલમાં નાણા પાછા ખેંચવાનો પ્રવાહ રહ્યો હતો. એફપીઆઈ દ્વારા નાણા પાછા ખેંચી લેવા માટે અનેક પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા. જે પૈકી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલીને મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાક ભૌગોલિક પરિબળો જવાબદાર ગણાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા હાલમાં જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અલબત્ત એસએલઆરને ૦.૫ ટકા ઘટાડીને ૧૯.૫ ટકા કરવામાં આવ્યો હતો. બીજી બાજુ રિઝર્વ બેંકે જીડીપી ગ્રોથના અંદાજિત દરને ૦.૬ ટકા ઘટાડી દીધો હતો. રિઝર્વ બેંકના કહેવા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૮માં દેશમાં જીડીપી દર ૬.૭ ટકાના દરે વધી શકે છે. એમપીસીના સભ્ય પ્રોફેશર ધોળકિયાએ ઓછામાં ઓછા ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવા માટેનો અંદાજ મુક્યો હતો પરંતુ સમિતિએ તેમની વાત સાંભળી ન હતી. રિઝર્વ બેંકના ગ્રોથના અંદાજને ૬.૭ ટકા કરી દેવામાં આવ્યો છે જે અગાઉ ૭.૩ ટકા દર્શાવવામાં આવ્યો હતો. આરબીઆઈએ તેની નીતિ સમીક્ષામાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, કૃષિ લોન માફીના પરિણામ સ્વરુપે ગ્રોથ ઉપર અસર પડશે. નવેસરના રોકાણની સાથે જ આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે.
પાછલી પોસ્ટ