દર વર્ષે બે કરોડ નવી નોકરી આપવાના વચન સાથે કેન્દ્રમાં આવેલી મોદી સરકાર નોકરીના મોરચે ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે ત્યારે રોજગારી આપવાના તમામ પ્રયાસો હવે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યા છે. રોજગારી વધારવાના તમામ પ્રયાસો થયા હોવા છતાં અપેક્ષા મુજબની સફળતા ન મળતા હવે નોકરીઓને વધારવા માટે સરકાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. આમા એક નિર્ણય એ પણ લેવામાં આવનાર છે કે જો કોઇ કંપની યુવાનોને વધારે કાયમી નોકરી આપશે તો તેમના પીએફમાં કંપની તરફથી જે પણ યોગદાન રહેશે તે સરકાર જ બે વર્ષ સુધી ભરી શકશે. આ પ્રસ્તાવ શ્રમ મંત્રાલય દ્વારા નાણામંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે. આના ઉપર સૈદ્ધાંતિક મંજુરી મળી ગઈ છે. રાહત પેકેજની જાહેરાતની સાથે અથવા તો મોડેથી આ યોજનાની જાહેરાત કરવામાં આવી શકે છે. મંદીનો માહોલ છવાયેલો છે ત્યારે અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહત પેકેજની જાહેરાત હવે કોઇપણ સમયે કરવામાં આવી શકે છે. શ્રમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ જોબ વધારવાને લઇને જ્યારે કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે મોટાભાગની કંપનીઓએ કહ્યું હતું કે તે કાયમી નોકરી આટલા માટે આપી રહી નથી કે, આનાથી તેમના ઉપર નાણાંકીય બોજ વધી ગયો છે. આજ કારણસર અસ્થાયીરીતે યુવાનોની ભરતી કરવામાં આવી રહી છે. આ વાત સરકારને પણ હેરાન કરી રહી છે. અસ્થાયીરીતે ભરતીને માર્કેટ અને નિષ્ણાતો નોકરી તરીકે ગણતા નથી. તેમનું કહેવું છે કે, કંપનીઓ આવી ભરતી ત્રણ મહિના, છ મહિના અથવા વર્ષભર માટે કરે છે. મોડેથી નવા લોકોને નોકરી આપી દે છે. આનાથી તેમને પગાર વધવાની જરૂરિયાતનો સામનો કરવો પડતો નથી. આજ કારણ છે કે, શ્રમ મંત્રાલયે આ સંદર્ભમાં નાણા મંત્રાલયને એવી ભલામણ મોકલી છે કે વધારે કાયમી નોકરી આપનાર કંપનીઓને ટેક્સ રાહત આપવાની સાથે સાથે પીએફના યોગદાનમાં રાહત આપવામાં આવે જેને સૈદ્ધાંતિકરીતે મંજુરી મળી ગઈ છે. મંત્રાલયના રિપોર્ટ મુજબ સંગઠિત ક્ષેત્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ૬.૭૦ લાખ નવી નોકરીઓ ઉભી થઇ શકી છે જ્યારે દર વર્ષે આશરે એક કરોડથી વધુ લોકોને નોકરીની જરૂર હોય છે. અર્થતંત્રની ધીમીગતિ અને ડિમાન્ડ ઓછી હોવાના કારણે દર વર્ષે લાખો આઈટી એન્જિનિયર રાખનાર કંપનીઓ હવે કર્મચારીઓની છટણી કરી રહી છે. એક્ઝીક્યુટીવ સર્ચ કંપની ફર્મ એન્ડ હન્ટર્સ ઇન્ડિયાના આંકડા ચોંકાવનારા છે. તેનું કહેવું છે કે, આગામી ત્રણ વર્ષમાં આઈટી કંપનીઓમાં ૫-૬ લાખ કર્મચારી બેરોજગાર થઇ જશે. અલબત્ત આઈટી કંપનીઓની મોટી સંસ્થા નાસ્કોમે આ અંદાજને ફગાવી દીધો છે. બીજા સેક્ટરોમાં નવી નોકરીની તક ઉભી થવાની ગતિ હાલમાં ધીમી રહી છે. લેબર બ્યુરોના આંકડા મુજબ છેલ્લા કારોબારી વર્ષમાં મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ અને એજ્યુકેશન સહિત આઠ સેક્ટરમાં માત્ર ૨.૩૦ લાખ નોકરીઓ ઉભી થઇ શકી છે જ્યારે દેશમાં દર વર્ષે ૧.૮૦ કરોડ લોકો વર્કફોર્સમાં આવી જાય છે. ગયા વર્ષે બેરોજગારોની સંખ્યા ૧.૭૭ કરોડ હતી જે આ વર્ષે ૧.૭૮ કરોડ સુધી પહોંચી શકે છે.
(અનુસંધાન નીચેના પાને)