ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હિમાચલ પ્રદેશમાં જોરદાર રાજકીય ગતિવિધિ જોવા મળી શકે છે. હિમાચલમાં પણ ગુજરાતની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાજુ એમ્સનું ઉદ્ઘાટન કરશે અને ત્રીજીએ ભાજપની રેલીને સંબોધશે. બીજી બાજુ એઆઈસીસીના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ૭મી ઓક્ટોબરના દિવસે કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકનાર છે. રાહુલ ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે. છેલ્લા થોડાક સપ્તાહમાં બંને પક્ષો વચ્ચે સામ સામે આક્ષેપબાજીનો દોર આગળ વધ્યો છે. એમ પણ માનવામાં આવે છે કે, મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યાં કેટલાક પ્રોજેક્ટોની આધારશીલા મુકવામાં આવનાર છે. આનો સામનો કરવા ભાજપે પણ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ જેવા મેગા પ્રોજેક્ટ માટે તૈયારી કરી લીધી છે. ઉના જિલ્લામાં આઈઆઈટી અને કાંગરા જિલ્લામાં પણ સંસ્થાની આધારશીલા મુકવામાં આવનાર છે. ભાજપ અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીમાં લાગેલા છે. બિલાસપુર રેલીમાં મોદી ભાજપ તરફી માહોલ સર્જવાના પ્રયાસ કરશે. મોદી લહેરના આધાર પર બહુમતિ મેળવવાની આક્રમક તૈયારી કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી મિશન રિપીટના સ્લોગન સાથે મેદાનમાં ઉતરી રહી છે. જ્યારે ભાજપ મિશન ૫૦ પ્લસ સાથે મેદાનમાં છે. ભાજપના કાર્યકરો આ વખતે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. મોદીએ હિમાચલ માટે ખાસ દરજ્જાની વાત પણ કરી છે.