પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ગયા સપ્તાહમાં પોતાના પરમાણુ હથિયારોના સંબંધમાં નિવેદન કરીને ચર્ચા જગાવી હતી. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન આ હથિયારો મારફતે ભારતીય સેનાની કોલ્ડ સ્ટાર્ટ નીતિનો સામનો કરવા માટે તૈયાર છે. આ હથિયારોમાં શોર્ટ રેંજ હથિયારો પણ સામેલ છે. હવે આ હથિયારોને લઇને કહેવામાં આવી રહ્યુ છે કે આ હથિયારો કોઇ દુર્ઘટનાનો શિકાર થઇ શકે છે. આ વિનાશકારી હથિયારો ત્રાસવાદીઓના હાથમાં આવી શકે છે. કોલ્ડ સ્ટાર્ટ પાકિસ્તાનની સાથે સંભવિત યુદ્ધ માટે ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રણનિતી છે. જે હેઠળ ભારતીય સેનાને યુદ્ધની સ્થિતીમાં પાકિસ્તાનના પરમાણુ હુમલાના જવાબ આપવાની મંજુરી મળેલી છે. બીજી બાજુ ફેડરેશન ઓફ અમેરિકન સાઇનટિસ્ટના નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને દેશના નવ સ્થળો પર પોતાના પરાણુ હથિયારો મુકી રાખ્યા છે. અમેરિકી પરમાણુ નિષ્ણાંત અને રિપોર્ટ તૈયાર કરનાર હૈન્સે કહ્યુ છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો જુદા જુદા બેઝમાં સ્તિત સ્ટોરેજંમાં મુકવામાં આવેલા છે. આ બેઝ પરમાણુ હથિયારો લોંચ કરવામાં પણ સક્ષમ છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ નિષ્ણાંતે હાલમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન શોર્ટ રેંજના હથિયારો બનાવી રહ્યુ છે. પાકિસ્તાનને લઇને દુનિયાના દેશો ચિંતાતુર બનેલા છે. આવી સ્થિતીમાં પાકિસ્તાન પર હવે તીવ્ર દબાણ લાવવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાન પર વધતા દબાણ વચ્ચે તે આડેધડ નિવેદન કરી રહ્યુ છે. હુમલામાં આનો ઉપયોગ કરવામાં આવશે તો સામરિક પરમાણુ હથિયારોનો ઉપયોગ વ્યાપક પરમાણુ યુદ્ધ તરફ લઇને જશે. પાકિસ્તાન એક ત્રાસવાદી રાષ્ટ્ર હોવાની વાત હાલમાં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી હતી. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવી હતી.