લોકો ખુલ્લામાં શૌચક્રિયા ન કરે તે માટે અજીબોગરીબ તરીકાઓ અપનાવવામાં આવી રહ્યાં છે. છત્તીસગઢના બિલાસપુરમાં લોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરતા રોકવા માટે અલગ પ્રકારની સજા કરવામાં આવી રહી છે. જે લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે તેમને સજા તરીકે રખડતા ઢોર ઢાંખરોને પૂરવાની ગાડીમાં બેસાડીને શહેરની બહાર નવ કિલોમીટર દૂર છોડી દેવામાં આવે છે.સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આ કાર્યક્રમ બિલાસપુર નગર નિગમના અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ શનિવારે રાઉન્ડ દરમિયાન ખુલ્લામાં શૌચ કરતા લગભગ ૨૮ લોકોને ગાડીમાં બેસાડીને શહેરની બહારના વિસ્તારમાં છોડી દીધા. આ રીતે અધિકારીઓએ બે ડઝન જેટલા નાગરિકો પર આર્થિક દંડ પણ ફટકાર્યો. ૩ મહિલાઓ દંડ ભરી ન શકી તો તેમને પોલીસના હવાલે કરી દેવાઈ.
જો કે કેટલાક લોકો આવારા પશુઓને પૂરવાની ગાડીમાં લોકોને બેસાડીને ફેરવવાની ઘટનાને અમાનવીય ગણાવી રહ્યાં છે. એક સામાજિક કાર્યકરે અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે લોકોને આ પ્રકારે સજા કરીને અપમાનિત કરવાની જગ્યાએ અધિકારીઓએ જાગરૂકતા ફેલાવવી જોઈએ. આ બાજુ બિલાસપુર નગર નિગમના અધિકારી મિથિલેશ અવસ્થી ખુલ્લામાં શૌચ કરનારા લોકોને આ રીતે જાનવરોની ગાડીમાં બેસાડીને શહેરની બહાર મોકલવાની સજાને ફગાવી રહ્યાં છે.
અત્રે જણાવવાનું કે છત્તીસગઢનો બિલાસપુર વિસ્તાર સફાઈ મામલે સૌથી તળિયે છે. ગત વર્ષે સ્વચ્છતા અભિયાનને લઈને જારી કરવામાં આવેલી યાદીમાં બિલાસપુરનો નંબર ૧૭૯ હતો.