રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રાજદ્વારીઓની એક ટીમ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામ મંદિર-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપશે તે તેમને અને તેમના સંગઠનને શિરોમાન્ય રહેશે.ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજદ્વારીઓને સંબોધતાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે હિન્દુત્વનો મતલબ એ નથી કે કોણે શું પહેરવું જોઈએ અને કોણે શું ખાવું જોઈએ, પરંતુ બીજા કેવા છે તેનો સ્વીકાર કરવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સંઘ ભાજપને ચલાવતો નથી અને ભાજપ સંઘને ચલાવતો નથી. અમે સ્વતંત્ર રહીને એક સ્વયંસેવક તરીકે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ અને વિચારોને શેર કરીએ છીએ. બંનેને અલગ નિર્ણય લેવાની આઝાદી હોય છે.