કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળ્યા બાદ રેલવે બોર્ડના સલામતી નિર્દેશાલયના સદસ્યો સાથે ખૂબ મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં કેન્દ્રીય રેલમંત્રીએ સ્પષ્ટ કરી દીધુ હતું કે,રેલવેમાં મુસાફરી કરતાં પ્રવાસીઓની સલામતીના મુદ્દે કોઇ બાંધછોડ નહીં થાય. પ્રવાસીઓની સલામતીના મુદ્દા પર કોઇપણ સમજૂતી નહી કરી શકાય કે થવી પણ ના જોઇએ. પ્રવાસીઓની સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બેઠકમાં રેલવે અકસ્માતો પાછળ ચોકીદાર રહિત સમપાર ફાટક અને રેલ્વેના પાટાઓમાં ખરાબીથી ટ્રેન ઉથલી પડવાના કારણો મુખ્ય જવાબદાર પરિબળ તરીકે દર્શાવાયા હતા. કેન્દ્રીય રેલ્વેમંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં રેલવેના અધિકારીઓએ સલામતીના મુદ્દે વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. બેઠકનો મુખ્ય મુદ્દો રેલ્વે પરિચાલનમાં પ્રવાસીઓની સલામતી અને ઉપાયો ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. બેઠકમાં ટ્રેન પાટા પરથી ઉતરવાના કારણો અને થઇ રહેલા આ પ્રકારના અકસ્માતો ઘટાડવાના ઉપાયો અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.
પાટા પરથી ટ્રેન ઉતરી જવાના કિસ્સાઓમાં તેમ જ ચોકીદાર રહિત સમપાર ફાટકના જે મુખ્ય પરિબળો સામે આવ્યા તેને કેન્દ્રીય રેલવે મંત્રીએ ગંભીરતાથી લીધા હતા અને આ મામલે જરૂરી આદેશો તંત્ર અને અધિકારીઓને જારી કર્યા હતા. વધુમાં રેલવે મંત્રીએ આ એકશન પ્લાનને સમયસર એકશનમાં મૂકવા રેલવે બોર્ડને કડક તાકીદ કરી હતી.