આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રાસવાદના મુદ્દે પાકિસ્તાનનુ ભારે અપમાન થયા બાદ હવે પાકિસ્તાન સ્પષ્ટતા કરવામાં અને બચાવ કરવામાં લાગી ગયુ છે. ભારે અપમાન થયા બાદ પાકિસ્તાને હવે નિખાલસ કબુલાત કરી છે કે જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા ત્રાસવાદી સંગઠન તેની જમીન પરથી જ સક્રિય થયેલા છે. પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન અને હવે પાકિસ્તાની આર્મી ચીફે પાકિસ્તાની પોલીસીનો ત્રાસવાદના મુદ્દા પર બચાવ કર્યો છે. પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યુ છે કે જો પાકિસ્તાને ત્રાસવાદની સામે કશુ કર્યુ નથી તો દુનિયાના કોઇ દેશે કોઇ પગલા લીધા નથી. તોયબા અને જેશના ત્રાસવાદી તેની જમીન પરથી સક્રિય હોવાની નિખાલસ કબુલાત પાકિસ્તાને પ્રથમ વખત કરી છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે હવે ત્રાસવાદની સામે પગલા લેવો સમય દુનિયાના અન્ય દેશોનો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હક્કાની નેટવર્ક જેવા ત્રાસવાદી જુથોને આશ્રય આપવા માટે પાકિસ્તાનને જાહેરમાં જોરદાર ફટકાર લગાવી હતી. ત્યારબાદ બ્રિક્સ દેશો તરફથી હાલમાં જારી કરવામાં આવેલા ઘોષણાપત્રમાં ત્રાસવાદની નિંદા કરવામાં આવી હતી. ખાસ કરીને પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદી સંગઠનો લશ્કરે તોયબા અને જેશે મોહમ્મદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બ્રિક્સ દેશોમાં પાકિસ્તાનના મિત્ર ચીનનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની વ્યાપક નિંદા કરવામાં આવી રહી હતી. ત્યારબાદ હવે પાકિસ્તાનના વિદેશ પ્રદાન ખ્વાજા આસિફે કહ્યુ છે કે જો લશ્કરે તોયબા અને જેશ પર અંકુશ મુકવામાં આવશે નહી તો દેશને અપમાનિત થતા રહેવુ પડશે. જનરલ બાજવા વર્ષ ૧૯૬૫ની લડાઇમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલિ આપવા માટે રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં કહ્યુ હતુ કે તે અબજો ડોલરની મદદ પાકિસ્તાનને આપી રહ્યુ હોવા છતાં પાકિસ્તાન ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યુ નથી. ટ્રમ્પના નિવેદન બાદ પાકિસ્તાની આર્મી ચીફ લાલઘુમ દેખાયા હતા. આર્મી ચીફે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.