જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનો ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થઇ રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, દક્ષિણ કાશ્મીરમાં ત્રણ જિલ્લાઓમાંથી સૌથી વધુ ભરતી ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે સાત મહિનાના ગાળામાં ૭૦ કાશ્મીરી યુવાનો ત્રાસવાદી ગતિવિધિમાં જોડાઈ ચુક્યા છે. પુલવામા, સોપિયન અને કુલગામ જિલ્લામાંથી સૌથી વધુ ભરતી યુવાનોની કરવામાં આવી છે. દક્ષિણ કાશ્મીર ત્રાસવાદીઓના મોટા હબ તરીકે ઉભરી રહ્યું છે. અહીં યુવાનો આધુનિક હથિયારોની તાલીમ પણ મેળવી ચુક્યા છે. આ વરિષ્ઠ અધિકારીએ સત્તાવાર આંકડા રજૂ કરતા કહ્યું છે કે, સાત મહિનાના ગાળામાં ખીણમાં ૭૦ કાશ્મીરી યુવાનો ત્રાસવાદી ગતિવિધિમાં જોડાઇ ચુક્યા છે. અધિકારીએ દાવો કર્યો હતો કે, ૨૦૧૬માં ૮૮ કાશ્મીરી યુવાનો જોડાયા હતા. ૨૦૧૪ બાદથી આતંકવાદમાં સામેલ થઇ રહેલા લોકોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ૨૦૧૫માં ૬૬ અને ૨૦૧૪માં ૫૩ યુવાનો ત્રાસવાદી ગતિવિધિમાં જોડાયા હતા. સુરક્ષા સંસ્થાઓ દ્વારા પુરા પાડવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. ૨૦૧૦માં પણ ૫૪ યુવાનો ત્રાસવાદી ગતિવિધિમાં જોડાયા હતા. પુલવામા, સોપિયન, કુલગામ પ્રદેશ આતંકવાદીઓના મોટા હબ તરીકે છે. ત્રાસવાદીઓના મુખ્ય કેન્દ્ર તરીકે પુલવામા રહ્યું છે. આ વિસ્તારમાં જ સૌથી વધુ અથડામણો અને હુમલા પણ થયા છે. પુલવામા હિઝબુલ મુઝાહીદ્દીનના ત્રાસવાદી બુરહાન વાનીના વતન તરીકે છે.
બુરહાન વાની ગયા વર્ષે જુલાઈમાં સુરક્ષા દળોની અથડામણમાં ઠાર થયો હતો. પુલવામા કાશ્મીર ખીણના લશ્કરે તોઇબાના કુખ્યાત ત્રાસવાદી અબુ દુજાના, અબુ મુસા અને અન્યોના પણ મોટા ગઢ તરીકે છે. ત્રાસવાદી તાલિમ માટે પોકમાં યુવાનોને મોકલવાના અનેક પ્રયાસો નિષ્ફળ કરવામાં આવ્યા છે. ૨૦૧૭માં હજુ સુધી ૫૪ યુવાનોને ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થતાં રોકવામાં આવ્યા છે. આ વર્ષે છેલ્લા સાત મહિનાના ગાળામાં કાશ્મીર ખીણમાં પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૩૨ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જુલાઈ સુધી ૧૧૫ અને ૯મી ઓગસ્ટ સુધી ૧૭ ત્રાસવાદીઓ માર્યા ગયા છે.
પાછલી પોસ્ટ