‘Best Of Two Exam’ થકી રાજ્યના વિદ્યાર્થીઓને મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ વધુ હશે તે પરિણામ ગ્રાહ્ય રાખવામાં આવશે. વિદ્યાર્થીઓના આત્મબળ વધારવાના આ નિર્ણયથી વર્ષ-૨૦૨૪માં રાજ્યના ધોરણ-૧૦માં નાપાસ થયેલા અંદાજિત કુલ ૧.૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ -૧૨માં વિજ્ઞાન પ્રવાહના ૨૬ હજારથી વધુ તેમજ સામાન્ય પ્રવાહના ૫૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ મળીને કુલ ૨.૧૧ લાખથી વધુ નાપાસ વિદ્યાર્થીઓને લાભ મળશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત-૨૦૪૭નો સંકલ્પ ત્યારે જ સાકાર થશે, જ્યારે ભારતના તમામ બાળકો ભણી ગણીને શિક્ષિત થશે. રાજ્યમાં કોઈ પણ બાળક પોતાના ઓછા પરિણામના કારણે શિક્ષા અધુરી ન છોડે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણયથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- ૧૦ અને ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- ૧ર તમામ પ્રવાહના ઉમેદવારોને તમામ વિષયોની બોર્ડ નક્કી કરે તે માસમાં યોજાનારી પૂરક પરીક્ષા આપી પરિણામ સુધારવાની તક મળી શકશે, તેમજ ઉમેદવારે મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામ માંથી જે પરિણામ શ્રેષ્ઠ (Best of Two) હશે તે પરિણામ માન્ય-ગ્રાહ્ય રાખવામાં આવશે, આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીનો પરીક્ષામાં સારા પરિણામ આવ્યા છતાંય બીજી વાર પૂરક પરીક્ષા આપવા ઈચ્છે અને જો તેનો પરિણામ ઓછો આવે તો પણ તેના બે પરિણામો માંથી વધુ પરિણામની માર્કશીટ આપવામાં આવશે, તેમજ કોઈ પણ વિદ્યાર્થીએ જે તે વર્ષની મુખ્ય પરીક્ષા આપી ન હોય તો તે ઉમેદવાર પૂરક પરીક્ષામાં બેસી શકશે નહિ, એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
રાજ્ય સરકારના ‘વિદ્યાર્થી હિતલક્ષી’ આ નિર્ણયથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટશે તેમજ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા હોય તથા પ્રથમ વખતે સારું પરિણામ કોઈ કારણસર ન લાવી શકયા હોય તેવા વિદ્યાર્થીઓને Best of Two Exam પૂરક પરીક્ષાના માધ્યમથી બીજી સોનેરી તક મળશે.