પાકિસ્તાનના સિંધપ્રાંતના એક મૌલવી પીર ઐયુબ સરહંદીએ રાષ્ટ્રીય એસેમ્બલીના સદસ્ય અને હિન્દુ નેતા લાલચંદ ઉપર ભારતીય જાસુસી સંસ્થા રૉના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. લાલચંદ વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાન એસેમ્બલીમાંથી ચૂંટાયા હતા. તેમને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેઓ પાકિસ્તાનના લઘુમતિ સમુદાય હિન્દુઓ પર કરવામાં આવતા બળજબરી પૂર્વકના ધર્માંતરણ અંગે લડત ચલાવી રહ્યા હતા.પાકિસ્તાન ફેમિનિસ્ટ એસોસિએશનના સ્થાપક શુમૈલા શાહનીએ આ અંગે જણાવ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતી પર આ પ્રકારના આક્ષેપ મુકવા અને તેમને ટાર્ગેટ કરવા સામાન્ય છે.પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ ગત વર્ષે પસાર કરેલા ઠરાવમાં હિન્દૂ સમાજની લઘુમતિ મહિલાઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન અને તેમની જોડે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકવાની માગણી કરી હતી. પાકિસ્તાનની તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના સાંસદ લાલચંદે આ અંગેનો પ્રસ્તાવ ધારાસભામાં રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સિંધમાં આ સમસ્યા વધુ ગંભીર છે.લાલચંદ પત્રકાર પણ છે. તેઓ ૧૯૯૬થી અત્યાર સુધી અનેક મીડિયા સાથે સંકળાયેલા હતાં. ૨૦૧૩માં તેમને એમએનએ અને બિન-મુસ્લિમ રિઝર્વ બેઠક માટે પીટીઆઈએ તેમને ઉમેદવાર બનાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, લાલચંદ પાકિસ્તાન માનવાધિકાર પંચના પણ સભ્ય છે.