ભારત છોડો આંદોલનના ૭૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે બુધવારે સંસદમાં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનારા સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન પર લોકસભામાં વિશેષ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ૧૯૪૨માં જ્યારે દેશ ઉભો થયો ત્યારે પાંચ વર્ષની અંદર આઝાદી મળી ગઈ. વડાપ્રધાને કહ્યું હતું કે, યુવાપેઢી ભારત છોડો આંદોલન જેવી દેશની ઐતિહાસિક ઘટનાઓ અંગે જાણે તે જરુરી છે.મોદીએ દેશની હાલની કેટલીક બાબતો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આપણા ચારિત્ર્યમાં કેટલીક એવી વસ્તુઓ ઘૂસી ગઈ છે, જેનાથી આપણને કાયદો તોડી રહ્યા છીએ તેવી લાગણી આપણને થતી નથી. આપણે ચાર રસ્તા પર ટ્રાફિકનું સિગ્નલ તોડીએ છીએ ત્યારે આપણને ખબર પણ નથી હોતી કે આપણે ખોટું કરી રહ્યા છીએ. કાયદો તોડવો એ આપણો સ્વભાવ બની ગયો છે. તેમણે કહ્યું હતું કે, જો ભારતમાં આઝાદીની લડાઈ જેવો જ મિજાજ પેદા કરવામાં આવે તો આપણે દેશના વીરોનું સ્વપ્ન પૂર્ણ કરી શકીએ છીએ. વડાપ્રધાને કહ્યું હતું કે, ૧૯૪૨નો નારો હતો કરેંગે યા મરેંગે, જ્યારે આજનો આપણો નારો છે કરેંગે ઔર કરકે રહેગે.અંગ્રેજોના શાસનમાંથી મળેલી આઝાદી માત્ર દેશની આઝાદી નહોતી પરંતુ સમગ્ર દુનિયામાંથી સામ્રાજ્યવાદને ખતમ કરી દેવાની શરુઆત હતી, તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે આજે ભ્રષ્ટાચારનું દુષણ આપણી વિકાસયાત્રામાં આડખીલી ઉભી કરી રહ્યું છે. આપણે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો છે, ગરીબોને અધિકાર અપાવવાના છે, અને આપણે તે કરીને જ રહીશું. ગરીબી, નિરક્ષરતા તેમજ કુપોષણ દેશ સામે સૌથી મોટા પડકારો છે. આપણે આ મામલે હકારાત્મક પરિવર્તન લાવવું પડશે. મોદીએ તે પણ કહ્યું હતું કે ભારતની આઝાદીમાં મહિલાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ પણ આ પ્રંસગે બોલતા જણાવ્યું હતું કે, શું આજે જનતંત્રને નુક્સાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે? ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ યાદ અપાવે છે કે આ વિચારને સંકુચિત માનસિકતા અને સંપ્રદાયવાદનો કેદી ન બનવા દેવો જોઈએ. એવું લાગે છે કે, ઉદારવાદી મૂલ્ય ખતરામાં પડી રહ્યા છે, અનેક વાર કાયદા પર ગેરકાનૂની શક્તિઓ હાવી થતી દેખાઈ રહી છે. સોનિયાએ કોઈનું નામ લીધા વગર આડકતરી રીતે સંઘનો વિરોધ કરતા એમ પણ કહ્યું હતું કે, કેટલાક એવા તત્વો પણ હતા જેમણે ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો. આ તત્વોની આપણી આઝાદીની લડાઈમાં પણ કોઈ ભૂમિકા ન હતી.