નોન પર્ફોર્મિગ એસેસ્ટ્સ (એનપીએ)ને નિયંત્રણમાં લેવાના શ્રેણીબદ્ધ પગલાં છતાં માર્ચ ૨૦૧૭માં પૂરાં થયેલાં નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોએ રૂપિયા ૮૧,૬૮૩ કરોડની વિક્રમજનક પરત નહીં ચૂકવાયેલી લોન માફ કરી દીધી છે. નાણામંત્રાલયના આંકડા અનુસાર અગાઉના નાણાકીય વર્ષમાં રૂપિયા ૫૭,૫૮૬ કરોડની બેડ લોન માફ કરાઇ હતી.
આમ છેલ્લા એક વર્ષમાં માફ કરાયેલી બેડ લોનમાં ૪૧ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા માફ કરાતી લોનની રકમમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેમના નફામાં મોટો ઘટાડો થયો છે.
એનપીએમાં સતત ઉછાળા અને રિઝર્વ બેંક દ્વારા બેંકોને ફરજિયાત એસેસ્ટ્સ સમીક્ષા પડાયા બાદ તેમને એનપીએની સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.૨૦૧૨-૧૩માં ૨૭,૨૩૧ કરોડની લોન માફ કરાઇ હતી તેની સામે બેંકોનો નફો ૪૫,૮૪૯ કરોડ રૂપિયા હતો પરંતુ ૨૦૧૬-૧૭માં ૮૧,૬૮૩ કરોડની લોન માફ કરાઇ છે જેની સામે બેંકો નો નફો ફક્ત ૪૭૪ કરોડ રહી ગયો છે. નાણામંત્રાલયના આંકડા દર્શાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોએ રૂપિયા ૨.૪૬ લાખ કરોડની પરત નહીં ચૂકવાયેલી લોન માફ કરી દીધી છે.છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને રૂપિયા ૪૭,૯૧૫ કરોડની સહાય કરી હોવા છતાં તેમની નેટ ખોટ રૂપિયા ૧૯,૫૨૬ કરોડ પર પહોંચી ગઇ છે જે છેલ્લા એક દાયકાની સૌથી વધુ ખોટ છે. રિઝર્વ બેંકના આંકડા પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૧૬માં બેંકોની એનપીએ ૯.૨ ટકા હતી જે માર્ચ ૨૦૧૭માં ૯.૬ ટકા પર પહોંચી ગઇ હતી. મોટા કોર્પોરેટ ગૃહો અને ડિફોલ્ટરોના કારણે બેંકો મોટી એનપીએનો સામનો કરી રહી છે.
પાછલી પોસ્ટ