અમદાવાદ શહેરના Sardar Vallabhbhai Patel International Airport (SVPIA) પર ત્રીજા ટર્મિનલનું નિર્માણ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં સતત પેસેન્જરોની સંખ્યા વધી રહી છે, જેથી એરપોર્ટ પર યોગ્ય મેનેજમેન્ટ થઈ શકે એના માટે આ નિર્ણય લેવાઈ શકે છે. આ મુદ્દે અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે TOIને બુધવારે જણાવ્યું કે અમે અત્યારે તો T1 અને T2ના વિસ્તરણની કામગીરીમાં વ્યસ્ત છીએ. પરંતુ જે પ્રમાણે એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા વધી છે એને જોતા ચોક્કસપણે અહીં બ્રાન્ડ ન્યૂ ટર્મિનલ બનાવવું પડશે.
અદાણી એરપોર્ટના CEO અરુણ બંસલે જણાવ્યું કે અમે ટર્મિનલ 3 પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે એરપોર્ટ પર T1 અને T2ની કેપેસિટી વાર્ષિક એક કરોડ પેસેન્જર્સની છે. પરંતુ ભવિષ્યમાં આમાં ઘણો વધારો થઈ શકે છે. જેથી કરીને એરપોર્ટ પર અસુવિધાઓ ન સર્જાય તેના માટે કડક સિક્યોરિટી બંદોબસ્ત સહિત કેપેસિટીમાં પણ વધારો થઈ શકે છે. જે વાર્ષિક 1.6 કરોડને પાર જવાની ધારણા છે. નોંધનીય છે કે આ વર્ષની જ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર વાર્ષિક 1.3 કરોડ પેસેન્જર્સની અવર-જવર થઈ શકે એવા આંકડાઓનું અનુમાન લગાવાઈ રહ્યું છે.