યુકે દ્વારા તેની ઈમિગ્રેશન પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, તેની અસર હાયર એજ્યુકેશન માટે યુકે જવાનું પ્લાનિંગ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે. યુકેના ગૃહ વિભાગના રાજ્ય સચિવ સુએલા બ્રેવરમેને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફારની જાહેરાત કરી છે. તેમણે જાહેર કરેલા નિવેદન પ્રમાણે ભારત સહિત વિદેશના નોન-રીસર્ચ પોસ્ટ-ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને હવે તેમના પરિવારના સભ્યો અથવા ડિપેન્ડન્ટ્સને તેમની સાથે યુકેમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નવા નિયમો જાન્યુઆરી 2024થી અમલી બનશે.
તેમણે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022 એ પૂરા થયેલા વર્ષમાં સ્પોન્સર્ડ સ્ટુડન્ટ્સના ડિપેન્ડન્ટ્સને અંદાજીત 1,36,000 વિઝા આપવામાં આવ્યા હતા. જે 2019માં 16,000 કરતા આઠ ગણા વધારે છે, જ્યારે સરકાર દ્વારા નેટ માઈગ્રેશન ઘટાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, એક્સપર્ટ્સનું માનવું છે કે આ ફેરફારથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ અંગે વિચાર કરશે. તેનાથી તેઓ અમેરિકા, ફ્રાન્સ અને આયર્લેન્ડ જેવા દેશો પર પસંદગી ઉતારી શકે છે.
હાલમાં ગ્રેજ્યુએટ વિઝા નિયમો પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને તેમના ડિપેન્ડન્ટ્સ સાથે યુકેમાં રહેવાની, તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી વધુ બે વર્ષ રહેવા અને પોસ્ટ-સ્ટડી ગ્રેજ્યુએટ વિઝા માટે ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. જોકે, નવા નિયમોના સમાચારે આશ્ચર્યજનક રીતે યુકેમાં તેમનો અભ્યાસ આગળ વધારવાની યોજના બનાવી રહેલા અને તેમના જીવનસાથી, બાળકો અથવા માતા-પિતાને સાથે લાવવાની આશા રાખતા સંભવિત ભારતીય વિદ્યાર્થીઓમાં ભય અને ચિંતાની લાગણી જન્માવી છે.