જમ્મુ-કાશ્મીરમાં મંગળવારની સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જે બાદ 10 જેટલાં મુસાફરોનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાં મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 10 જેટલાં મુસાફરોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. આ ઘટના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બની હતી. મુસાફરોથી ભરેલી બસ એક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. જેમાં સવાર યાત્રીઓ વૈષ્ણો દેવીમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. મૃતકોના મૃતદેહો પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ દુર્ઘટના મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ બસ દુર્ઘટના જમ્મુ જિલ્લાના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર જઝ્ઝર કોટલી પાસે બની હતી. જમ્મુના ડીસી અવની લવાસાએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને ચાર જેટલાં મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ બસ અમૃતસરથી કટરા તરફ જઈ રહી હતી.
પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને જીએમસી જમ્મુમાં ખસેડવામાં આવ્યા હતા. 12 અન્ય લોકોને સ્થાનિક સાર્વજનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, ઘટના કેવી રીતે બની એના વિશે હજુ માહિતી મળી નથી. જો કે, આ મામલે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બસ સફેદ અને ગુલાબી રંગની હતી અને એના પર પ્રિન્સ ટ્રાવેલ્સ લખેલું છે.