: દમણમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના બની છે. પ્રોપર્ટીને લઈને થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલી ત્રીજી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થતાં બધા ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ખારીવાડ સ્થિત ગોકુલધામ સોસાયટીની એક બિલ્ડિંગમાંથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા દમણ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થયાનું ખૂલ્યું હતું. યુવકની હત્યા કોણે અને ક્યા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ કરતી પોલીસે આખરે આ મર્ડર કેસ સોલ્વ કરી દીધો છે. જેમાં મૃતકની ત્રીજી પત્નીએ જ તેનું ઢીમ ઢાળી દીધું હોવાનો ખુલાસો થતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર નાની દમણના ખારીવાડમાં ગોકુલધામ સોસાયટીમાં સંજીવ બેનર્જી નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસ તપાસમાં સંજીવની હત્યા મિલકતના ભાગલા, પૈસાની લેવડ દેવડ અને પત્નીનો અધિકારને લઈને રોજિંદા ઘર કંકાસને લઈ ત્રીજી પત્ની મમતા બેનર્જીએ જ કરી હતી. ઝઘડો થતા ઉશ્કેરાઇને મમતાએ કાચની બોટલ મારી સંજીવની હત્યા કરી નાખી હતી અને બાદમાં બે સંતાન સાથે તે 2 દિવસ સુધી ઘરમાં પતિના મૃતદેહ સાથે રહેતી હતી.
બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી દમણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. આસપાસના લોકોની પૂછપરછ બાદ પોલીસને મૃતકની પત્ની પર શંકા ગઈ હતી. જેથી તેને અટકાયતમાં લઈને દમણ પોલીસે આકરી પૂછપરછ કરતા ભાંગી પડી હતી અને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મમતા સંજીવની ત્રીજી પત્ની હતી. અગાઉની બે પત્ની જેમાં એક બંગાળ અને બીજી વડોદરામાં રહે છે, જ્યારે ત્રીજી પત્ની દમણમાં સંજીવ સાથે રહેતી હતી.
પ્રોપર્ટીના ભાગલા અને પૈસાની લેવડ-દેવડમાં થયો ઝઘડો
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રોપર્ટીના વેચાણને લઈને બંને વચ્ચે રોજેરોજ ઝઘડાઓ થતાં હતા. આ દરમિયાન બાકીની પત્નીઓ સાથે પ્રોપર્ટીના ભાગલા અને પૈસાની લેવડ-દેવડને કારણે થયેલો ઝઘડો વધુ ઉગ્ર બનતા મમતાએ ઉશ્કેરાઈને કાચની બોટલ વડે સંજીવને પતાવી દીધો હતો અને બાદમાં બે સંતાનો સાથે ત્યાં જ બે દિવસ સુધી રોકાઈ હતી. જો કે, ઘરમાંથી વાસ મારતા પાડોશીઓ પૂછપરછ કરી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ સંજીવની પત્ની મમતા સામે પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.