ચારધામ (Char Dham) યાત્રા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન લાગે છે. જેના કારણે ભક્તોને દર્શન વખતે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લાંબી લાઈનોના કારણે લાંબા સમય સુધી દર્શન માટે નંબર આવતો નથી.
પરંતુ, હવે બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. હવે યાત્રાળુઓ માત્ર રૂપિયા 300 ચૂકવીને VIP દર્શન કરી શકશે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ BKTCની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. BKTCએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોની મુલાકાત લેતા તમામ પ્રકારના VIPsના વિશેષ દર્શન અને પ્રસાદ માટે વ્યક્તિ દીઠ 300 રૂપિયાની ફી નક્કી કરી છે.
BKTCના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, ચારધામોમાં VIP દર્શનના નામે ઘણી બબાલ થઈ રહી છે, તેથી VIP દર્શન માટે 300 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે યાત્રિકો વીઆઈપી દર્શન કરવા ઈચ્છે છે તેમણે રૂપિયા 300 ચૂકવવા પડશે. BKTCના કર્મચારીઓ યાત્રિકોને VIP દર્શન કરાવવાની જવાબદારી સંભાળશે.
કેદારનાથના દર્શન માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTCની ઓનલાઈન પોર્ટલ પર કરવુ પડશે. ટિકિટ બુકિંગમાં પારદર્શિતા અને કાળાબજારી રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 6 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. રજિસ્ટ્રેશનની આ પ્રોસેસ ફેબ્રૂઆરીથી શરુ થઈ જાય છે. ચારધામ યાત્રામાં સૌથી વધુ રજિસ્ટ્રેશન કેદારનાથ માટે થયા છે. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.