બોલિવુડમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ ‘પરિણીતા’ના ડાયરેક્ટર પ્રદીપ સરકાર (Pradeep Sarkar)નું 68 વર્ષની વયે અવસાન થયું છે. 24 માર્ચે રાત્રે 3.30 કલાકે પ્રદીપ સરકારનું અવસાન થયું હતું. તેઓ ડાયાલિસીસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ખૂબ ઘટી ગયું હતું. તેમની તબિયત લથડતાં તેમને રાત્રે 3 વાગ્યે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમનું અવસાન (Pradeep Sarkar Passed Away) થયું. શુક્રવારે સાંજે ચાર વાગ્યે સાંતાક્રૂઝમાં આવેલા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રદીપ સરકારના પરિવાર તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે.
શુક્રવારે સવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રદીપ સરકારના મોતનો ઝટકો મળ્યો. ડાયરેક્ટર હંસલ મહેતા, એક્ટર અજય દેવગણ, મનોજ બાજપેયી, સ્વાનંદ કિરકિરે, આરજે આલોક સહિત કેટલાય સેલિબ્રિટીઝે પ્રદીપ સરકારના નિધન પર શોક અને આઘાત વ્યક્ત કર્યો હતો.
એક્ટ્રેસ નીતૂ ચંદ્રાએ ‘પરિણીતા’ના ડાયરેક્ટર પ્રદીપ સરકારના નિધનની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે, પ્રદીપ સરકાર તેના પહેલા ડાયરેક્ટર હતા. તેણે સૌથી પહેલા એક ફૂટવેર બ્રાન્ડના વિજ્ઞાપનમાં સાથે કામ કર્યું હતું. એ વખતે તેણી કોલેજમાં હતી. નીતૂ પ્રદીપ સરકાર અને તેમની બહેન મધુની નિકટ છે. નીતૂને પ્રદીપ સરકારના નિધનની જાણકારી આપતો મેસેજ આવ્યો હતો, જે વાંચીને તેને આઘાત લાગ્યો હતો.
પ્રદીપ સરકારે પોતાના કરિયરની શરૂઆત બ્રાન્ડ કોમર્શિયલના ડાયરેક્ટર તરીકે કરી હતી. તેમણે ફિલ્મ ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરતાં પહેલા કેટલાક મ્યૂઝિક વિડીયો પણ ડાયરેક્ટ કર્યા હતા. તેમણે 2005માં સૈફ અલી ખાન, વિદ્યા બાલનના લીડ રોલવાળી ફિલ્મ ‘પરિણીતા’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ‘લાગા ચુનરી મેં દાગ’, ‘મર્દાની’, ‘હેલિકોપ્ટર ઈલા’ જેવી કેટલીય ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. પ્રદીપ સરકાર ‘નીલ સમંદર’, ‘ફોરબિડન લવ’ (2020) અને ‘કૈસી પહેલી જિંદગાની’ (2021) જેવા પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા હતા.