જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતકની ઓળખ સંજય શર્મા તરીકે થઈ છે જેઓ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. ત્યારે હવે આ ટાર્ગેટ કિલિંગની ઘટના પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ચીફ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ટાર્ગેટ કિલિંગની ઘટનાથી બીજેપીને ફાયદો થઈ રહ્યો છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આ ઘટનાઓથી ભાજપને જ ફાયદો થઈ રહ્યો છે. પછી આવી ઘટનાઓ જમ્મુ-કાશ્મીરમાં બને કે હરિયાણામાં. ભારતીય જનતા પાર્ટી લઘુમતીઓના જીવનની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. તેઓ માત્ર ઘાટીમાં સામાન્ય સ્થિતિ દર્શાવવા માટે લઘુમતીઓનો ઉપયોગ કરે છે. મુફ્તીએ વધુમાં કહ્યું કે, ભાજપ આવી ઘટનાઓનો ઉપયોગ દેશમાં મુસ્લિમોની છબી ખરાબ કરવા માટે કરે છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આ કાશ્મીરી લોકોનું વર્તન નથી. આ તમામ કામો સરકારની નિષ્ફળતા દર્શાવે છે.
આજે સવારે સંજય શર્મા દક્ષિણ કાશ્મીર જિલ્લાના અચાન વિસ્તારમાં બજારમાં જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. સંજય શર્માને ગોળી મારીને આતંકવાદીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા સંજયને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.