તુર્કીમાં વિનાશકારી ભૂકંપના કારણે ચારેબાજુ વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે. ચારેબાજુ કાટમાળ જ કાટમાળ અને લાશોના ઢગલા દ્રશ્યમાન થઈ રહ્યા છે. કુદરતી આફતમાં જમીનદોસ્ત મકાન થઈ જતાં લાખો લોકો બેઘર બની ગયા છે. મોટા સંકટમાં હજારો પરિવારના લોકો પોતાના સગાથી વિખૂટા પડી ગયા. અનેક બાળકો અનાથ બની ગયા. મૃતકોની સંખ્યા એટલી વધારે છે કે તેમને દફનાવવા માટે જગ્યા પણ ખૂટી પડી રહી છે. તુર્કીના મરાસમાં સામૂહિક કબ્રસ્તાનમાં એકસાથે ૫૦૦૦ લોકોને દફનાવવામાં આવ્યા. કબ્રસ્તાન પાસે હજુ પણ અનેક લાશ દફન કર્યા વિનાની પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો દર્દનાક પરિસ્થિતિમાં અહીંયા પહોંચીને પોતાના મૃત પરિજનની ઓળખ કરી રહ્યા છે. તુર્કીના મરાસમાં સામૂહિક કબ્રસ્તાનમાં રવિવારે ઓછામાં ઓછા ૫૦૦૦ લોકોને દફનાવવામાં આવ્યા. ગયા અઠવાડિયે તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપ પછી કાટમાળમાંથી મળી આવેલ લાશને દફનાવવા માટે ચીડના જંગલનો એક મોટો ભાગ સામૂહિક કબર ખોદવા માટે સાફ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પ્રશાસનની મદદથી અહીંયા આખો દિવસ મિનિટે મિનિટે લાશ આવી રહી છે. મોટી સંખ્યામાં મૃતકોના પરિજનો કબર પર નામ અને સંખ્યા શોધવા માટે દોડધામ કરી રહ્યા છે. કબર ખોદવા માટે મશીનને ચોવીસ કલાક કામ પર લગાડવામાં આવ્યા છે. તેની વચ્ચે કેટલાંક અસ્થાયી તંબુ બનાવવામાં આવ્યા છે. અને પરિવારોને દફનાવતાં પહેલાં પ્રાર્થના માટે મદદ કરવામાં આવી રહી છે. લાશને સામૂહિક રીતે દફનાવવા માટે એક મોટા વિસ્તારના જંગલને સાફ કરી નાંખવામાં આવ્યું. કેમકે મૃતકોની સંખ્યામાં પહેલાંથી વધારેની આશંકા હતી. તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપથી તબાહીની વચ્ચે મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. બંને દેશમાં ભીષણ આફતથી મૃતકોની સંખ્યા ૩૩,૦૦૦ને પાર કરી ગઈ છે. જ્યારે ૧ લાખથી વધારે લોકો ઈજાગ્રસ્ત છે. ભારત સહિત દુનિયાભરના અનેક દેશ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. ભૂકંપ પીડિતને આશ્રય સ્થાનમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. અને જરૂરી સામાન પણ પહોંચાડી રહ્યો છે.
આગળની પોસ્ટ