ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તે સાથે જ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ૨ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. ચૂંટણી પંચની ટીમે ભાજપ અને કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી અને બંને પક્ષ દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ચૂંટણીની તારીખો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
પાટીલે આ વખતે ૧૦-૧૨ દિવસ વહેલા ચૂંટણી યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે નવેમ્બર મહિનાના અંત સુધીમાં ચૂંટણી પણ પૂર્ણ થઈ જશે તેવો મત દર્શાવ્યો હતો.
પાટીલે કહ્યું હતું કે, નવેમ્બર મહિનાના એન્ડ સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય એવું મને લાગે છે. વર્ષ ૨૦૧૨-૨૦૧૭માં તો ડિસેમ્બરની ૧૨મી તારીખે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ૧૦થી ૧૨ દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારૂ માનવું છે. જોકે મને કોઈએ આવું કહ્યું નથી. મારી સાથે કોઈની વાત નથી થઈ. હમણાં પત્રકાર મિત્રો બ્રેકિંગ ચલાવી દેશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી દીધી, પરંતુ ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી.
આણંદમાં અક્ષર ફાર્મ વિદ્યાનગર ખાતે ભાજપના નવતર જિલ્લા કાર્યાલય શ્રી કમલમના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા પાટીલે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આશરે ૩.૫૦ કરોડના ખર્ચે બનેલા શ્રી કમલમના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના નેતાએ આ પ્રકારના સંકેત આપ્યા હતા. આણંદ અક્ષર ફાર્મ ખાતે પેજ સમિતિના ૩૦,૦૦૦થી વધુ સભ્યોનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો.
પાછલી પોસ્ટ