આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજારનો પણ હવે અંત આવવાની તૈયારી છે. સરકાર તરફથી તેની જાહેરાત થવાની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મોંઘવારી ભથ્થાની ઔપચારિક જાહેરાત ૨૮ સપ્ટેમ્બરે એટલે કે ત્રીજા નોરતે કરવામાં આવશે. સપ્ટેમ્બરનો પગાર બે મહિનાના એરિયર સાથે આવશે.
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને નક્કી કરવા માટે સરકાર તરફથી એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ (ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ-ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ) ઈન્ડેક્સના આંકડાને આધાર બનાવવામાં આવે છે. એઆઈસીપીઆઈ-આઈડબલ્યુના પહેલા છમાસિકના આંકડા બહાર પડી ચૂક્યા છે. જૂનમાં ઈન્ડેક્સ વધીને ૧૨૯.૨ પર પહોંચવાના કારણે ડીએમાં ૪ ટકાનો વધારો નક્કી છે.
મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૩૮ ટકા થઈ જશે. આ અગાઉ સરકાર તરફથી માર્ચમાં જાન્યુઆરીના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે ૩૧ ટકાથી વધારીને ૩૪ ટકા કરવામાં આવ્યું હતું.
હવે ફરી વધેલું મોંઘવારી ભથ્થું ૧ જુલાઈથી લાગુ કરવામાં આવશે. નવરાત્રિના શુભ દિવસોમાં સરકાર તરફથી તેની ચૂકવણી થવાથી કર્મચારીઓના ખિસ્સામાં મોટી રકમ આવી શકશે.
મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવામાં આવે તો તે ૩૮ ટકા થઈ જશે. હાલ કેન્દ્રીય કર્મચારીઓને ૩૪ ટકા મોંઘવારી ભથ્થું મળે છે. ડીએના ૩૮ ટકા થવાથી પગારમાં મોટો ઉછાળો આવશે. જો ૪ ટકા ડીએ વધે તો ન્યૂનતમ અને મહત્તમ બેઝિક પગાર કેટલો વધશે?