કેનેડા પાસે વિઝાની અરજીઓનો જંગી બેકલોગ સર્જાયા પછી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કેનેડા જવા માંગતા લોકોનું સપનું આ વર્ષમાં જ સાકાર થવાની શક્યતા છે. કેનેડા પાસે લગભગ ૨૭ લાખ વિઝા અરજીઓનો બેકલોગ થયો છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં તેનો નિકાલ થાય તેવી શક્યતા છે. ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૨માં કેનેડાના વિઝાની અરજીઓમાં ૫૫ ટકાનો વધારો થયો છે જેના કારણે બેકલોગ વધી ગયો છે. હાયર એજ્યુકેશન માટે, હરવા ફરવા માટે કે બિઝનેસમાં નવી તક શોધવા માટે કેનેડા એ ભારતીયોનો પસંદગીનો દેશ બની ગયો છે અને તેના માટે વિઝાની અરજીઓ રેકોર્ડ સ્તરે પહોંચી છે.
કેનેડામાં ટૂંક સમયમાં નવી યુનિવર્સિટી ટર્મ શરૂ થવાની છે ત્યારે કેનેડા અત્યારે સ્ટુડન્ટ વિઝાને પ્રાથમિકતા આપે છે. હાલમાં ભારતમાંથી લગભગ ૨.૩૦ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ કેનેડામાં પોસ્ટ-સેકન્ડરી ઇન્સ્ટિટ્યૂટ્સમાં નોંધણી કરાવી છે. વિઝાની અરજીઓમાં આટલો મોટો વધારો થયો હોવા છતાં કેનેડા ૨૦૨૨ના અંત સુધીમાં નોર્મલ પ્રોસેસિંગની અપેક્ષા રાખે છે. કેનેડાના વિઝાની દરેક કેટેગરીમાં ભારતીયોએ સૌથી વધારે અરજી કરી છે.
તેમાં સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા અને બિઝનેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ક પરમિટ અને પર્મેનન્ટ રેસિડન્સીની અરજીઓમાં પણ ભારતીયો આગળ છે. અધિકારીઓએ કહ્યું કે અમે હાલમાં દર અઠવાડિયે ૧૦,૦૦૦ ભારતીયોની વિઝા અરજીઓને પ્રોસેસ કરીએ છીએ, પરંતુ આટલી ઝડપ પૂરતી નથી.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રી સીન ફ્રેઝરે જણાવ્યું છે કે ૨૦૨૨માં કેનેડા ૪.૩૦ લાખથી વધારે લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રોનો છઠ્ઠો રાઉન્ડ યોજ્યો હતો જેમાં ૩૨૫૦ લોકોને એક્સપ્રેસ એન્ટ્રી વિઝા માટે આમંત્રણ આપવામાં આવ્યા હતા. કેનેડાએ ૬ જુલાઈથી તેના ઓલ-પ્રોગ્રામ ડ્રોની શરૂઆત કરી છે. ઈમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી)એ જણાવ્યું કે કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (સીઆરએસ) માટે લઘુતમ સ્કોર હવેથી ઘટાડીને ૫૧૦ કરવામાં આવ્યો છે.
કેનેડા તેના વિઝિટર્સ માટે વેક્સિનના મેન્ડેટનું પાલન નહીં કરે. વેક્સિનનો આગ્રહ એટલા માટે રાખવામાં આવતો નથી કારણ કે તેનાથી કેસ પણ નથી અટકતા અને કોવિડના વેરિયન્ટનો પ્રસાર પણ અટકતો નથી.