ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા મંગળવારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અહીંથી તેમણે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટમાં સંબોધન કરતા જેપી નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યાં હતા. તથા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો પણ કર્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભલે હજુ જાહેર નથી થઈ, જો કે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, આ દ્રશ્યો તેનો પુરાવો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મોરબી અને રાજકોટમાં મુખ્યમંત્રી અને અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.
રાજકોટમાં નડ્ડાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના મહાસંમેલનમાં હાજરી આપી, પંચાયતથી સાંસદ સુધીના ૧૦ હજાર પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે રાજકોટમાં તૈયાર થઈ રહેલી એઈમ્સને લગતા એક કિસ્સાનું વર્ણન કર્યું…
રાજકોટ બાદ નડ્ડા મોરબી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો યોજ્યો, મોરબીના શનાળા રોડથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલા રોડ શોમાં ૫૦ હજારથી વધુ લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નડ્ડાએ આખરે ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર અને એમાં પણ મોરબી તેમજ રાજકોટની પસંદગી શા માટે કરી, તો તેનો જવાબ એ છે કે મોરબી ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનનું એપીસેન્ટર હતું. પાટીદાર આંદોલનના કારણે ભાજપને સૌરાષ્ટ્રમાં નુકસાન થયું હતું. ૨૦૧૭ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું નબળું પ્રદર્શન રહ્યું. ભાજપને સૌરાષ્ટ્ર- કચ્છની ૫૪માંથી ફક્ત ૨૩ બેઠક મળી હતી. ૨૦૨૨માં પણ ભાજપ સામે કોંગ્રેસના મજબૂત ઉમેદવારો પડકારરૂપ છે. કેમ કે કોંગ્રેસનાં જીતેલા ધારાસભ્યમાંથી મોટા ભાગના રિપીટ થવાની પ્રબળ શક્યતા છે. જેને જોતાં સૌરાષ્ટ્રમાં ભાજપ આ વખતે શું રણનીતિ અપનાવે છે, તે જોવું રહેશે.