પોતાની કોમેડીથી દુનિયાભરમાં નામ કમાવનાર સુપ્રસિદ્ધ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ આપણી વચ્ચે રહ્યા નથી. દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયુ છે. તેઓ 41 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવની એઈમ્સમાં જાણીતા ડોક્ટર નીતીશ નાઈકના નેતૃત્વમાં સારવાર થઈ રહી હતી. મળતી માહિતી મુજબ, મગજ સિવાય રાજુ શ્રીવાસ્તવના તમામ અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા.
રાજુ શ્રીવાસ્તવને દિલ્હીના એક જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેઓ બેભાન થઈ ગયા હતા. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટથી સતત દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ બેભાન અવસ્થામાં હતા. AIIMSના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, રાજુ શ્રીવાસ્તવે બેભાન અવસ્થામાં દુનિયાને અલવિદા કહી દીધું.
AIIMSના ICUમાં દાખલ રાજુ શ્રીવાસ્તવને છેલ્લા દોઢ અઠવાડિયા દરમિયાન ઈન્ફેક્શનને કારણે ઘણી વખત તાવ આવ્યો હતો. મગજ સિવાય તેના તમામ અંગો કામ કરતા હતા. ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બોલિવૂડ ફિલ્મોમાં નાના રોલ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે રાજશ્રી પ્રોડક્શન્સની મૈને પ્યાર કિયા અને બાઝીગર અને બોમ્બે ટુ ગોવા જેવી વિવિધ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે બોલિવૂડ ફિલ્મ ‘આમદાની અઠન્ની ખર્ચા રૂપૈયા’માં કોમેડિયન તરીકે કામ કર્યું હતું. જોકે તેમને મુંબઈમાં મિમિક્રીથી ઓળખ મળી હતી.