એકતરફ બેટી બચાવો બેટી પઢાવોની વાતો વચ્ચે હજુ પણ અમુક લોકો દહેજની માંગ કરીને દીકરીનો ભોગ લઇ રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જ્યાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો બેંકમાં મેનેજર રાકેશ રાજપૂત વારંવાર પોતાની પત્ની પાસે દહેજની માંગણી કરતો હતો અને પત્ની પર ત્રાસ પણ ગુજારતો હતો. લગ્નમાં દહેજ આપ્યું હોવા છતાં ધનલાલચુ પતિ રાકેશ રાજપૂતને સંતોષ ન હતો અને પતિ તથા સાસરિયા દમન ગુજારતા માનસિક ત્રાસથી પત્નીએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી.
મૂળ બિહારના પટના રહેવાસી મધુસૂદન રાજપૂત એક સંબધીના લગ્ન પ્રસંગ દરમ્યાન રાકેશ રાજપૂતના પરિચયમાં આવ્યા હતા.કર્ણાટકમાં બેન્ક ઓફ બરોડામાં નોકરી હોવાથી પિતાએ દીકરી સુખી રહેશે તેવું વિચારીને એપ્રિલ ૨૦૨૧માં દીકરી મેઘાના સમાજના રીત રિવાજથી રાકેશ રાજપૂત સાથે ધામ ધૂમથી લગ્ન કર્યા હતા અને દીકરીના લગ્નમાં ૫ લાખના દાગીના અને અન્ય ભેટ સોગાદ સહિત ૨૫ લાખનું દહેજ આપ્યું હતું. તેમ છતાં લાલચુ પતિ રાકેશ રાજપૂતએ વધુ દહેજની માંગ કરતો હતો.
વધુમાં પતિની સાથે સાસરિયા પણ મેઘાને ત્રાસ આપતા હતા. વધુમાં પત્નીને પાગલ કહીને સાસરિયાઑ માનસિક હેરાન પણ કરતા હતા. જેનાથી કંટાળીને મેઘાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આથી પરિણીતાના માતાપિતા દીકરીને ન્યાય મળે માટે બિહારથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહ્યા છે.દીકરીના માતા-પિતાએ ચોધાર આસુંએ જણાવ્યું હતું કે અમે લગ્નમાં ૨૫ લાખનું દહેજ આપ્યું હોવા છતાં લાલચુ પતીએ અમારી દીકરીનો જીવ લીધો છે. આ મામલે પોલીસને જાણ થતા અરજીના આધારે આરોપી રાકેશ રાજપૂત ઘાટલોડિયા પોલીસે દુષ્પેરણા હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત આ કેસમાં અન્ય આરોપીની સંડોવણીને લઈને તપાસ શરૂ કરાઇ છે.
આગળની પોસ્ટ