અમદાવાદ સહિત રાજ્યભરમાં વકરી રહેલા સ્વાઇન ફલૂને કારણે લોકો ફફડી રહ્યા છે. માત્ર શિયાળામાં દેખા દેતા સ્વાઇન ફલૂ વાઇરસે હવે ઉનાળો અને ચોમાસાની સિઝનને પણ ભરડામાં લેતાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૧૮ દર્દીઓ સ્વાઇન ફલૂની સારવાર લઇ રહ્યા છે. એટલું જ નહીં. માત્ર જુલાઇ માસમાં પ૭ કેસ નોંધાયા હતા જેમાંથી છનાં મોત નીપજતાં લોકોમાં ભય વ્યાપી ગયો છે.
સ્વાઇન ફલૂની સાથે જ કોંગો ફીવર વાઇરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થયો છે. વરસાદ બંધ થતાં મચ્છરોના વધેલા ઉપદ્રવે ડેન્ગ્યુના કેસોમાં પણ વધારા થતાં ખાનગી દવાખાનાં દર્દીથી ઊભરાઇ રહ્યાં છે. સ્વાઇન ફલૂ એ નવીન પ્રકારના ઇન્ફલ્યુએન્ઝા વાઇરસનો વૈશ્વિક ફેલાવો છે. આ એવો વાઇરસ છે જે ઝડપથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશે છે. તેનાં લક્ષણો ઇન્ફલ્યુએન્ઝા જેવાં જ હોય છે. જેમાં છાતી કે પેટનો દુઃખાવો, બેભાન થવું, સતત ઊલટી, હાંફ ચડવો તાવ વગેરે જેવાં લક્ષણો દેખાય છે. હવે રહી રહીને આરોગ્ય વિભાગે સ્વાઇન ફલૂ અંગે સર્વે હાથ ધર્યો છે. જેમાં હવે ઘરોનો સર્વે હાથ ધરાયો છે. કુલ ચાર કેટેગરીમાં થઇ રહેલા સર્વેમાં શરદી, તાવ અને ગળાના દુઃખાવા, તાવ અને ઝાડા, તાવ અને ખાંસી ચડવા જેવાં સ્વાઇન ફલૂ જેવાં લક્ષણો ધરાવતા વાઇરલ કેસના દર્દીઓની સંખ્યા વધી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજ ૧૦૦થી વધુ સેમ્પલ પરીક્ષણ માટે આવે છે.
શહેરમાં સ્વાઇન ફલૂની સારવાર માટે ખાનગી હોસ્પિટલોને પણ મંજૂરી આપવામાં આવી છે. ઝડપભેર ફેલાતા સ્વાઇન ફલૂની સારવાર માટે હજુ વધુ ખાનગી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. સ્વાઇન ફલૂ થઇ શકે તેવાં લક્ષણો ધરાવતા ૪૦૦થી વધુ કેસ તંત્રને કાલે મળ્યા હતા.