હિમાચલમાં ચોમાસાએ ભારે તબાહી મચાવી છે. ૨૯ જૂનથી લઈને અત્યાર સુધીમાં આ ચોમાસાની સિઝનમાં ૨૪૯ લોકોના જીવ ગયા છે અને ૪૪૪ લોકો ઘાયલ થયા છે તથા ૧૦ લોકો હજુ પણ લાપતા છે. પ્રદેશને અત્યાર સુધીમાં ૧,૩૩૭ કરોડથી વધુનું નુકશાન થયું છે. ૨૯ પાકા અને ૪૯૪ કાચા મકાનો પડી ભાંગ્યા છે. તેમજ ૪૯૪ કાચા અને ૯૩ પાકા મકાનોને આંશિક નુકસાન થયું છે. ચોમાસામાં ૧૭૬ પશુઓએ પણ દમ તોડી દીધો છે. જોકે, મૃત્યુમાં માર્ગ અકસ્માતનો પણ સમાવેશ થાય છે અને અડધાથી વધુ મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થયા છે.
રાજ્ય સરકાર આ નુકશાનનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે અને રાહતની માગ કરવામાં આવશે. આ વિશે કેબિનેટ મંત્રી સુરેશ ભારદ્વાજે કહ્યું કે, આ વખતે અણધાર્યો વરસાદ પડ્યો છે પરંતુ કેટલાક સ્થળો પર દુષ્કાળ જેવી સ્થિતિ છે. તેમણે કહ્યું કે, નુકશાનનો રિપોર્ટ કેન્દ્રને મોકલવામાં આવશે.
હિમાચલમાં ૧૮થી ૨૦ ઓગષ્ટ સુધી ચોમાસાએ સૌથી વધુ તબાહી મચાવી છે. આ ૩ દિવસોમાં ૨૨થી વધુ લોકોના જીવ ગયા છે અને પ્રદેશને ૨૦૦ કરોડથી વધુનું નુકશાન ઝેલ્યું છે. આલમ એ છે કે આ સમયગાળા દરમિયાન થયેલા વરસાદની અસર હજુ પણ જોવા મળી રહી છે. તેના કારણે પ્રદેશમાં હજુ પણ એક હાઈ વે સહિત ૧૧૮ રસ્તાઓ બંધ છે. કુલ્લુંમાં ૪૦, ચંબામાં ૩૫, મંડીમાં ૨૨, શિમલામાં ૧૨ રસ્તાઓ બંધ છે. હાલ રાજ્યભરમાં ૧૧૧ ટ્રાન્સફોર્મર અટવાયા છે, ૮૫ પીવાના પાણીની યોજનાઓ અસરગ્રસ્ત છે. રાજ્યમાં અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે પરિવહન સેવાઓ પર પણ નોંધપાત્ર અસર જોવા મળી છે.
આગળની પોસ્ટ