પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધુને સુપરીમ કોર્ટે ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. હવે કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપી છે. નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યુ કે, તે કોર્ટના આદેશનું પાલન કરશે. હવે સિદ્ધુની ધરપકડ કરવામાં આવશે કે તે સરેન્ડર કરશે. હાલ સિદ્ધુ પટિયાલામાં છે. તેમણે ગુરૂવારે સવારે મોંઘવારીના મુદ્દા પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ હાથી પર બેસીને પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસ નેતા સિદ્ધુની સાથે હવે પંજાબ પોલીસે પણ આ મામલે કાયદાનું પાલન કરવુ પડશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેને ૧ હજારનો દંડ ફટકારી છોડી દીધા હતા. આ ઘટના ૨૭ ડિસેમ્બર ૧૯૮૮ની છે. પટિયાલામાં પાર્કિંગને લઈને સિદ્ધુ અને પીડિત વચ્ચે વિવાદ થયો હતો. ત્રણ દાયકા જૂના આ કેસની વિગતો જાેઈએ તો ૨૭ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ સિદ્ધુ મિત્ર રૂપિન્દર સિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના માર્કેટ ગયા હતા. તે સમયે તેઓ ક્રિકેટર હતા. તે જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને ૬૫ વર્ષના વૃદ્ધ ગુરનામ સિંહ સાથે નોકઝોક થઈ. વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ. સિદ્ધુએ ગુરનામ સિંહને પગ મારી પાડ્યા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમનું મોત થયું. જાે કે રિપોર્ટમાં આવ્યું કે તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તે સમયે સિદ્ધુ અને તેમના મિત્ર બંને પર કેસ થયો. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો. ૧૯૯૯માં સેશન્સ કોર્ટે કેસ ફગાવ્યો. ૨૦૦૨માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. આ દરમિયાન સિદ્ધુ રાજકારણમાં આવ્યા. ડિસેમ્બર ૨૦૦૬માં હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષિત ઠેરવતા ૩-૩ વર્ષની કેદની સજા ફટકારી. આ સાથે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સિદ્ધુ તે સમયે ૨૦૦૪ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. આ ચુકાદા બાદ તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સિદ્ધુ તરફથી દિવંગત નેતા અરુણ જેટલીએ કેસ લડ્યો હતો અને સુપ્રીમે હાઈકોર્ટા ચુકાદા પર રોક લગાવી. પરંતુ પીડિત પરિવારે સુપ્રીમમાં રિવ્યૂ પિટીશન દાખલ કરી અને હવે કોર્ટે પોતાનો ચુકાદો પલટ્યો.
પાછલી પોસ્ટ