ભાજપ ધ્રુવીકરણના આધારે ચૂંટણી જીતતો હોવાની વાત સંપૂર્ણપણે ખોટી હોવાનું ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે. તેમણે અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, દેશની ૮૦થી ૮૨ ટકા વસ્તી હિન્દુ છે, પરંતુ ભાજપને હજુ પણ લગભગ ૪૦ ટકા વોટ જ મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર બિહારના રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી ચૂક્યા છે.
દેશના રાજકારણમાં કથિત રીતે વધી રહેલા ધ્રુવીકરણના મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ ધ્રુવીકરણને ખૂબ જ અતિશયોક્તિ રીતે રજૂ કરવામાં આવી રહી છે. ધ્રુવીકરણની રીત બદલાઈ ગઈ છે. ૧૫ વર્ષ પહેલાંની ધ્રુવીકરણની રીત અને અત્યારની રીતમાં ફરક છે. જાેકે તેની અસર લગભગ એટલી જ છે. અમે ચૂંટણીના આંકડાઓનો અભ્યાસ કર્યો છે. આ આધાર પર અમે કહી શકીએ છીએ કે, સૌથી વધુ ધ્રુવીકરણ થયું હોવાનું કહેવાતું હોય તેવી ચૂંટણીમાં પણ કોઈ પણ એક સમુદાયના ૫૦-૫૫ ટકા મતદારોને કોઈ પણ પાર્ટી એકત્રિત કરી શકતી નથી.
તેમણે કહ્યું કે, તેમનો કહેવાનો અર્થ એ છે કે જે લોકો ધ્રુવીકરણને ચૂંટણી હારવાનું કારણ ગણાવે છે તે ખોટા છે. ચાલો માની લો કે, તમે હિન્દુ સમુદાયનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરો છો. હિન્દુ સમુદાય બહુમતીમાં છે. હિન્દુ સમુદાયમાં ધ્રુવીકરણનું સ્તર ૫૦ ટકા સુધી થઈ જાય છે, એટલે કે કોઈ એક પક્ષથી પ્રભાવિત હોવાના કારણે આ ૫૦ ટકા લોકો એક પક્ષને મત આપે છે. પરંતુ અહીં નોંધવા જેવી વાત એ છે કે ધ્રુવીકરણથી પ્રભાવિત દરેક હિન્દુ સાથે એક બીજાે હિન્દુ પણ છે જે તેનાથી પ્રભાવિત નથી.પ્રશાંત કિશોરે કહ્યું કે, હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ નિર્ણાયક છે અને તેના કારણે ચૂંટણી જીતી કે હારી શકાય છે એવું માનવું ખોટું છે. પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ બહાર આવે છે, ત્યારે ઘણા લોકો કહે છે કે તમામ હિન્દુઓનું ધ્રુવીકરણ થયું છે. પણ હકીકતો આપણને કંઈક બીજું જ કહે છે. દેશમાં ભાજપને ૩૮ ટકા વોટ મળ્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે, એક મિનિટ માટે કલ્પના કરો અને કહો કે ભાજપના હિન્દુત્વથી પ્રભાવિત બધા જ મતદાર તેને મત આપે છે? ભાજપને મત આપનારા મતદારોની સંખ્યા દેશમાં હિન્દુઓની કુલ સંખ્યાના અડધાથી પણ ઓછી છે.
તેમણે તાજેતરમાં સંપન્ન થયેલી ઉત્તર પ્રદેશની ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપને આ ઉત્તરપ્રદેશમાં ૪૦ ટકા વોટ મળ્યા છે. જ્યારે રાજ્યમાં હિન્દુ વસ્તી ૮૦-૮૨ ટકા છે. આનો અર્થ એ થયો કે અડધાથી પણ ઓછા હિન્દુઓએ ભાજપને મત આપ્યો હતો. અહીં આપણે કહી શકીએ કે, ધ્રુવીકરણની અસર થાય છે, પરંતુ કોઈ પક્ષ માત્ર ધ્રુવીકરણના આધારે ચૂંટણી જીતે છે અથવા હારે છે, તેવું ન કહી શકાય.