ગયા-મુગલસરાઇ રેલવે સેક્શનના કરમનાસા રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે ડાઉન લાઇન પર બોક્સ એમટી સ્પેશિયલ માલગાડીનાં ૧૬ વેગન પાટા પરથી ઊથલી પડીને દુર્ઘટનાગ્રસ્ત થતાં ત્રણેય રેલવે ટ્રેક જામ થઇ ગયા હતા.
દુર્ઘટનાના કારણે ગયા-મુગલસરાઇ સેક્શનમાં અપ અને ડાઉન બંને લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો, જેના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી હતી.આ અકસ્માત સવારના ૪-૩૦ કલાકની આસપાસ થયો હતો. દુર્ઘટનાને કારણે ગયા જંક્શન પર અફરાતફરી મચી ગઇ હતી. બુદ્ધપૂર્ણિમા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેન ગયા જંક્શન પર ઊભી હતી.
સ્ટેશન મેનેજરે જણાવ્યું હતું કે માલગાડીની મોટી દુર્ઘટનાના કારણે હાવરા-જોધપુર એક્સપ્રેસ સહિત કેટલીયે ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા હતા.બલામઉ સ્ટેશન નજીક માલગાડીના બે ડબા ઊથલી પડતાં મુરાદાબાદ-લખનૌ ડાઉન લાઇન બંધ થઇ ગઇ હતી. રાત્રે ૧ર-૩૦ કલાકે આ દુર્ઘટના બાદ ડાઉન લાઇન પર ટ્રેનોનું સંચાલન ખોરવાઇ ગયું હતું. આ દરમિયાન લખનૌ તરફ જતી ટ્રેનોને જુદાં જુદાં સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. આ કારણે યાત્રીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા.