વસંતોત્સવ ર૦૨૨નો તારીખ ૧૪ માર્ચ ૨૦૨૨ થી શુભારંભ થઈ ચૂક્યો છે. પાટનગર અને આસપાસની જનતા આ સાંસ્કૃતિક ઉત્સવને મનભરી માણી રહી છે. ત્યારે આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત વસંતોત્સવના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર પી.આર.જોષી દ્વારા રાજ્યપાલનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્કૃતિ કુંજના મંચ ઉપરથી રજૂ થયેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિ જેવીકે ગુજરાતનો માંડવડી ગરબો, ભાઈઓ અને બહેનોનો તલવાર રાસ, પંજાબનું ભાંગડા તથા આસામનનુ બીહુ નૃત્ય માણ્યું હતું. વસંતોત્સવમાં દરરોજ રાજ્ય અને રાજ્ય બહારના સાંસ્કૃતિક નૃત્યો રજુ કરવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ ગુજરાતનાં સુવિખ્યાત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતી લોકગીતોની પ્રસ્તુતિમાં જાણીતા ગાયક નિલેશ ગઢવી દ્વારા લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ લોકગીતોને પણ રાજ્યપાલશ્રી એ ખુબ મનભરી માણ્યા હતા. વસંતોત્સવનાં સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીની *યુ ટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજ Youth Service and Cultural Activities, Gandhinagar* પરથી માણી શકાય છે. અત્યાર સુધી અનેક કલારસિકો આ જીવંત પ્રસારણને માણી ચૂક્યા છે.એકજ મંચ પરથી વિવિધ ભાવોથી તરબતર રાજ્ય અને રાજ્ય બહારના સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ નિહાળી રાજ્યપાલશ્રી આનંદીત થઈ ઉઠ્યા હતા અને વસંતોત્સવમાં બે કલાક જેટલો સમય ગાળ્યો છે.